ટોપ ન્યૂઝવડોદરા

વડોદરા યુનિવર્સિટીની હોસ્ટેલમાં 80થી વધુ વિદ્યાર્થિનીઓને થયું ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું…

વડોદરાઃ વડોદરામાં આવેલ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ રાત્રિનું ભોજન લીધું તે બાદ અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી. વિદ્યાર્થિનીઓને તબિયત અચાનક ખરાબ થતા સત્વરે હોસ્ટિલ સારવાર માટે લઈ જવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 80થી વધારે વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેથી આ તમામ વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડી
વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહે છે. આ દરમિયાન જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગત રાત્રે ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનિઓની રાત્રે ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી. પહેલા તો આ બાબતે હોસ્ટેલની વોર્ડનને જાણ કરવામાં આવી હતી. જો કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થિનીઓની હાલત ખરાબ હોવાના કારણે સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી. હોસ્ટેલમાં સત્વરે અનેક એમ્બ્યુલન્સ આવી પહોંચી અને તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એમ્બ્યુલન્સ ખૂટી જતા પોલીસની ગાડીઓમાં વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી.

80 થી વધુ વિદ્યાર્થીનિઓને ફૂડ પોઇઝનિંગની અસર
મળતી વિગતો પ્રમાણે અત્યારે વિદ્યાર્થિનીઓની હાલત સારી છે. જો કે, ઘટના ખૂબ જ ગંભીર હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 80થી વધારે વિદ્યાર્થિનીઓ અત્યારે સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને કેટલીક વિદ્યાર્થિનીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. હોસ્ટેલમાં રહેતી 80 થી વધુ વિદ્યાર્થીનિઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. તબીબી સારવાર ચાલી રહી છે, પરંતુ અનેક પ્રશ્નો ઊભા થયા છે
શું હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે?આ માટે કોણ જવાબદાર છે?

કંટ્રોલ અને ક્વાલિટી ચેકનો અભાવ ક્યાં હતો?
આ સમગ્ર મામલે હોસ્ટેલના ભોજન આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. હાલની સ્થિતિમાં વિદ્યાર્થિનીઓની તબિયત સ્થિર છે, પણ સમગ્ર વ્યવસ્થાની જવાબદારી નક્કી થવી આવશ્યક છે. આખરે શા માટે વિદ્યાર્થિનીઓની સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવે છે? આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button