વડોદરા કોર્ટમાં ‘કકળાટ’: મહિલા PIએ કોર્ટરૂમમાં વકીલને માર્યો લાફો

વડોદરાઃ ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ગુજરાત પોલીસની એક મહિલા પીઆઈએ કોર્ટમાં જ ન્યાયાધીશની સામે વકીલને લાફો માર્યો હતો. આ ઘટના વડોદરા જિલ્લા કોર્ટમાં બની હતી. વકીલને લાફો માર્યા બાદ મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી. વકીલોએ ધમકી આપી કે, જો મહિલા પીઆઈ સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વકીલો ઉગ્ર આંદોલન કરશે. મહિલા પીઆઈએ જે વકીલને લાફો માર્યો તે ગુજરાત હાઈ કોર્ટમાં વકીલાત કરે છે. એક ખાસ કેસમાં ઉપસ્થિત રહેવા તેઓ વડોદરા આવ્યા હતા.
વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ સી એચ આસુન્દ્રા એક મામલે આરોપી સાથે કોર્ટમાં રજૂ થયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મહમૂદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો વણસ્યો હતો. વકીલે મહિલા પીઆઈએ બે લાફા માર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ કે શાહની કોર્ટમાં બની હતી. કોર્ટમાં હાજર ન્યાયાધીશ અને સ્ટાફ આ ઘટનાને જોતા જ રહી ગયા હતા. ઉપરાંત અન્ય વકીલો તથા બીજા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
મહિલા પીઆઈએ જે વકીલને લાફો માર્યો તેની ઓળખ શેખ મહમૂદ આદિલ તરીકે થઈ હતી. વડોદરા બાર એસોસિએશને આ ઘટનાની નિંદા કરી હતી અને મહિલા પીઆઈ સી એચ આસુન્દ્રાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. બાર એસોસિએશને કહ્યું, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો વકીલો ઉગ્ર આંદોલન કરશે. ઘટના બાદ ચાર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી સહિત સ્ટાફ કોર્ટ પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી પણ સમાધાન થયું નહોતું. કાયદાના જાણકારોના કહેવા પ્રમાણે, આ મામલે ન્યાયાધીશ કોઈ કાર્યવાહી કરી શકતા નથી. પોલીસ જ આ મામલે એફઆઈઆર નોંધાવી શકે છે.
વકીલે કહ્યું કે, પીઆઈએ લાફો મારતા કાનમાં ઈજા પહોંચી છે અને સાંભળવામાં સમસ્યા થાય છે. ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ સી એચ આસુન્દ્રાએ કહ્યું, અમે આરોપીને લઈ જતા હતા ત્યારે વકીલે તુંકારો કર્યો હતો અને અડચણરૂપ બન્યો હતો.
આ પણ વાંચો….વડોદરામાં બેફામ કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા, કારમાંથી મળ્યા બિયરના ટિન