બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય જોશીનું રાજીનામું મંજૂર, નવા એમડીની કરી નિમણૂક

વડોદરા: વડોદરાની બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અજય જોશીનું રાજીનામું ડેરી બોર્ડની બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યું હતું. અજય જોશીએ લગભગ એક મહિના પહેલા અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમની નિવૃત્તિને માત્ર 10 મહિના બાકી હોવાથી આ નિર્ણયે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ડેરીના સત્તાધીશો વિરુદ્ધ લાગ્યા છે ગંભીર આરોપો
સુત્રોના જણાવ્યા અનુસાર, જોશીના રાજીનામા પાછળના અંગત કારણો સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટના એવા સમયે બની છે જ્યારે બરોડા ડેરીનું મેનેજમેન્ટ વિવિધ આરોપોના ઘેરાવામાં છે.
આપણ વાંચો: બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કોને થશે ફાયદો?
તાજેતરમાં જ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ડેરીના સત્તાધીશો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ડેરીમાં મૃત લોકોના નામે દૂધ ભરીને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે. આ મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.
કેતન ઈનામદારના આરોપો બાદ અગ્રણી અજીત ઠાકોરે પણ ડેરી મેનેજમેન્ટ વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા અને સમય આવ્યે પુરાવા સાથે સામે આવશે તેમ જણાવ્યું હતું. આ બંને ઘટનાઓને હજી એક મહિનો પણ નથી થયો ત્યાં અજય જોશીનું રાજીનામું મંજૂર થવાના મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે અનેક સવાલોને જન્મ આપ્યો છે.
આપણ વાંચો: સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય: પ્રતિ કિલો ફેટ રૂ. ૧૨૦ બોનસ ચૂકવાશે
નવા MD તરીકે હિમાંશુ ભટ્ટની નિયુક્તિ
અજય જોષીના રાજીનામા બાદ ડેરી બોર્ડ દ્વારા નવા એમડીની માંગણી કરવામાં આવી હતી. ફેડરેશન દ્વારા હિમાંશુ ભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે, જેઓ 27 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અજય જોષી 30 જૂન સુધી પોતાનો કાર્યભાર સંભાળશે.