વિજય રૂપાણીએ બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી, પણ વિધિના લેખ ન ટાળી શકાયા…

અમદાવાદ: ગુજરાત સહિત દેશની નજર અત્યારે અમદાવાદમાં બનેલ વિમાન અકસ્માત પર ટકી રહી છે. કેમ કે, આ વિમાન દુર્ઘટના દાયકાની સૌથી મોટી માનવામાં આવી રહી છે. એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાની સાથે મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. એર ઈન્ડિયાના 787-8 ડ્રીમલાઈન વિમાન દુર્ઘટનામાં લગભગ 270 લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સફર કરી રહ્યા હતા. આ વિમાનમાં 242 મુસાફરો હતા, જેમાંથી માત્ર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લહેર ફેલાવી છે.
ત્રીજી વખત બુક કરાવી હતી ટિકિટ
ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીની આ ફ્લાઈટની ટિકિટ ત્રીજી વખતની હતી. તેઓ લંડન પત્ની અને પુત્રીને મળવા જવાના હતા. તેમણે શરૂઆતમાં 19 મેની એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ની ટિકિટ બુક કરી હતી, પરંતુ આયોજનમાં ફેરફાર થતાં તેમણે 5 જૂનની ટિકિટ બુક કરી હતી. જોકે, આ ટિકિટ પણ કેન્સલ કરીને, અંતે તેમણે 12 જૂનની ફ્લાઈટ AI171માં સીટ નંબર 2D બુક કરાવ્યા હતા, જે ટેકઓફના 32 સેકન્ડમાં જ બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું, જેનાથી આગનો ગોળો બન્યો અને હોસ્ટેલને પણ નુકસાન થયું.

લકી નંબર બન્યો અંતિમ દિવસ
રીપોર્ટ્સ પ્રમાણે વિજય રૂપાણી માટે 1206 નંબર લકીમાનવામાં આવી રહ્યો હતો. તેમણે આ નંબરનો ઉપયોગ કાર, સ્કૂટર અને મુખ્યમંત્રી તરીકેના વાહનની નંબર પ્લેટ પર કર્યો હતો. આશ્ચર્યજનક રીતે, તેઓ 12 જૂન (12/06)ના રોજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા.
વિજય રૂપાણીનો જન્મ 1956માં બર્માના રંગૂન (હવે યાંગોન)માં થયો હતો. 1960ના દાયકામાં પરિવાર રાજકોટ સ્થળાંતર કર્યું. તેમણે 1987માં રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. 2006-2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહ્યા અને 2014માં ગુજરાત સરકારમાં મંત્રી બન્યા. 2016થી 2021 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, જે પછી તેમણે ચૂંટણી પહેલાં રાજીનામું આપ્યું.
આપણ વાંચો : સંઘ પ્રચારકથી લઈને લગ્ન સુધી, વિજય રૂપાણી અને અંજલીબેનની અનોખી પ્રેમ કહાની…