આતંકીઓ પાસેથી ‘રાઇઝિન કેમિકલ’ મળવાના મુદ્દે AMC સભામાં હોબાળો, વિપક્ષના નેતાએ કરી આવી માંગ…

અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મળેલા ખતરનાક કેમિકલનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ગંભીર રજૂઆત કરી હતી કે, જો આ કેમિકલ શહેરના પાણી પુરવઠામાં ભેળવવામાં આવે તો મોટી જાનહાનિ થઈ શકે છે. જેને લઈને સામાન્ય સભામાં ગંભીર ચર્ચા થઈ હતી.
‘રાઇઝિન કેમિકલ’ અને પાણી પુરવઠાની સુરક્ષા
શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં જણાવ્યું કે, આતંકીઓ પાસેથી રાઇઝિન કેમિકલ મળ્યું હતું, જેને હવા તેમજ પાણીમાં ભેળવી શકાય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો કોઈ આતંકવાદી દ્વારા આ કેમિકલ AMC સંચાલિત 238 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના પાણીમાં ભેળવી દેવામાં આવ્યું હોત, તો સવારે પાણી પીવાથી ખૂબ મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા હતા કે, જ્યાંથી નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે, તેવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર કોઈપણ પ્રકારની સિક્યુરિટી નથી.
AMC દ્વારા 3000 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સ રાખવામાં આવે છે, પરંતુ તેમની હાજરી ક્યાંય જોવા મળતી નથી. તેથી, આવા સંભવિત હુમલાઓ અટકાવવા માટે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર તાત્કાલિક સુરક્ષા ગોઠવવામાં આવે, એવી શહેઝાદ પઠાણે માંગ કરી હતી.
ATS દ્વારા પકડાયેલા આતંકીઓનો ઇરાદો
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસએ 9 નવેમ્બરના રોજ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ISIS (ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત – ISKP)થી પ્રભાવિત ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક, ડો. સૈયદ અહેમદ, જેણે ચીનમાં તબીબી અભ્યાસ કર્યો હતો, તે પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હતો. ડો. સૈયદ સાઇનાઇડમાંથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. તેનો ઇરાદો મોટું ફંડ એકત્ર કરીને ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો હતો.



