અમદાવાદ પ્લેન ક્રેશમાં મેડિકલ કોલેજના પીડિતોને યુનિવર્સિટીએ આપી મોટી રાહત, વિદ્યાર્થીઓને ફી પરત કરવાનો નિર્ણય

અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાનની ફ્લાઈટ શહેરના રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ભાંગી હતી. આ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત 4 MBBS વિદ્યાર્થીઓ અને અન્ય 30 સ્થાનિકોનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાએ શૈક્ષણિક સંસ્થા અને વિદ્યાર્થીઓના પરિવારોને ઊંડો આઘાત આપ્યો છે. ઘાયલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરવાની માગને ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીએ બી.જે. મેડિકલ કૉલેજના ડીનને લખેલા પત્રમાં જણાવ્યું કે, જુનિયર ડૉક્ટર એસોસિએશનની રજૂઆત અને સરકારના સૂચનને ધ્યાને લઈને, પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા 12 વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાં એમબીબીએસના પ્રથમ વર્ષના બે, બીજા વર્ષના આઠ, ફિઝિયોથેરાપીના ફાઇનલ વર્ષનો એક અને એક રેસિડેન્ટ ડૉક્ટરનો સમાવેશ થાય છે.
મૃતક વિદ્યાર્થીઓની ફી પરત
ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચાર એમબીબીએસ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી પરત કરવાની રજૂઆત કરવામાં આવશે અને ફી પરત પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કૉલેજ હોવાથી સરકારે વાર્ષિક ટ્યુશન ફી પણ પરત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું વિદ્યાર્થીઓના પરિવારોને આર્થિક રાહત આપવા માટે લેવાયું છે, જેઓ આ દુ:ખદ ઘટનાથી પીડાઈ રહ્યા છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના પરિજનોને સહાય આપવાનું શરૂ, ટાટા ગ્રુપે કરી હતી સહાયની જાહેરાત