ગુજરાતના વિકાસના શિલ્પી વિજય રૂપાણીના કાર્યકાળમાં આ વિકાસકાર્યો થયેલા, વાંચો અહેવાલ

અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તેમાં અનેક લોકોના મોત થયાં હતાં. આ વિમાન દુર્ઘટનામાં આપણાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. પોતાના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ અનેક વિકાસના કામો કર્યાં હતાં. રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી ચૂંટાયા બાદ તેએ મુખ્યમંત્રી બન્યાં હતાં. વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં પાણી, દવા અને એર કનેક્ટીવીટીમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
12,000 કરોડ રૂપિયા ખર્ચે સૌની યોજના સાકાર
વિગતે વાત કરવામાં આવે તો, વિજય રૂપાણીના કાર્યકાળમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી 12,000 કરોડ રૂપિયા ખર્ચે સૌની યોજના સાકાર થઈ હતી. આ યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા 115 ડેમમાં નર્મદા ડેમનું પાણી આવ્યું હતું. આ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કર્યું હતું. સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રના લોકો માટે પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ જમીન કોણ ફાળવી હતી?
સૌરાષ્ટ્રના વિકાસમાં પણ વિજય રૂપાણીએ મહત્વની કામગીરી કરી હતી. અહીં ઉદ્યોગના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રાજકોટમાં જમીન ફાળવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટને 1405 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના 1.25 કરોડ લોકોને સસ્તી સારવાર મળે તે માટે રાજકોટના જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં 1195 કરોડના ખર્ચે 700 બેડની એમ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્યો પણ વિજય રૂપાણીના કાર્યકાળમાં થયા
વિજય રૂપાણીએ કરેલા વિકાસકાર્યોની વાત કરવામાં આવે તો, રાજકોટ સીવીલ હોસ્પિટલમાં 100 કરોડના ખર્ચે PMSSY બિલ્ડીંગ, રામવન, બસ સ્ટોપ, ગાંધી મ્યુઝિયમ, લાઈટહાઉસ, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, સુજલામ-સુફલામ જળસંચય, રેલનગર અન્ડરબ્રીજ, આમપાલી બીજ અને સીસીટીવીનો આઈ.પ્રોજેક્ટ જેવા વિકાસકાર્યો વિજય રૂપાણીના કાર્યકાળમાં સંપન્ન થયેલા છે. ગુજરાત માટે વિજય રૂપાણીએ આપેલા યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં.
આ પણ વાંચો…વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન બન્યા વિજય રૂપાણી, જાણો વિગત