વોર ઇફેક્ટ? ઉનાળુ વેકેશનની સિઝન “ધોવાઈ” પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો, બુકિંગ થઈ રહ્યા છે રદ્દ!

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિ છે. ભારતનાં આતંક વિરોધી સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂર બાદ બંને દેશ વચ્ચેનાં સંબંધમાં વધારે તણાવ છે. પાકિસ્તાનની સેના ભારતનાં અનેક સરહદી વિસ્તારોમાં હુમલા કરી રહી છે અને તે સમયે સુરક્ષાને ધ્યાને લઈને સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર પડી છે. યુરોપ, યુએસએ અને તુર્કીની આંતરરાષ્ટ્રીય ટ્રીપ મોટા પ્રમાણમાં રદ થઈ રહી છે. દેશમાં પણ કાશ્મીર બાદ હવે પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની યાત્રાઓમાંથી પણ ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે.
ઉનાળુ વેકેશનની સિઝનને લાગ્યું ગ્રહણ
મોટાભાગે ઉનાળુ વેકેશન ટૂરિઝમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો માનવામાં આવે છે. પરતું આ વર્ષે ઉનાળુ વેકેશનની સીઝનને ગંભીર ફટકો પડ્યો છે, જેના કારણે પ્રવાસન ક્ષેત્રને ભારે નાણાકીય નુકસાન થયું છે. ટૂરિઝમ ક્ષેત્રનાં સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાએ પ્રથમ ટૂર રદ્દ કેન્સલેશનની એક લહેર લાવી દીધી હતી. તો વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. લોકો હવે વિદેશી અને સ્થાનિક બંને સ્થળો માટે બુકિંગ રદ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પ્રવાસનની આખી સીઝન લગભગ ધોવાઈ ગઈ છે. પહેલા તો કાશ્મીરમાં આતંકવાદી હુમલો અને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તંગ થયેલા સંબંધોએ આ ઉદ્યોગને અસર કરી છે.
આંતરરાષ્ટ્રીય લાંબા અંતરના પ્રવાસો થયા રદ
ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મુસાફરીને ખાસ વિશેષ અસર પહોંચી છે. બંને દેશ વચ્ચેની યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય લાંબા અંતરના પ્રવાસો રદ થઈ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસોમાં જ યુરોપિયન દેશો, યુએસએ, તુર્કી અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસો મોટા પ્રમાણમાં રદ કરવામાં આવ્યા છે. વળી દુબઈ, સિંગાપોર, બાલી, શ્રીલંકા, માલદીવ, થાઈલેન્ડ અને વિયેતનામ સહિતનાં દેશોનાં પ્રવાસો રદ્દ થયા નથી પરંતુ તેની નવી કોઇ પૂછપરછ મળી રહી નથી.
ઉત્તરાખંડ, હિમાચલનાં પ્રવાસો પણ રદ્દ
તેમણે આગળ કહ્યું હતું કે, “પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના તમામ પ્રવાસો રદ કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે આતંકવાદી હુમલાઓ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે પ્રવાસન ઉદ્યોગે કરોડો રૂપિયા ગુમાવ્યા છે. સરહદી તણાવને કારણે એરલાઇન ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. તણાવની પરિસ્થિતિને જોતા દેશનાં અનેક એરપોર્ટને પર નાગરિક ઉડ્ડયન પ્રવૃત્તિઓ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો…ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, ગોલ્ડ રિઝર્વ પણ ઘટ્યું