મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિરના દ્વાર આગમી 42 કલાક માટે ખુલ્લા રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિર ટ્રષ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ હોવાથી આગમી 48 કલાક માટે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના અંદાજ મુજબ આ મહાશિવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ આવી શકે છે.
સોમનાથ મંદિર ટ્રષ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
સોમનાથ મંદિરના દ્વાર આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે ખુલશે જે સતત 42 કલાક સુધી એટલે કે 16 ફેબ્રુઆરીની રાત સુધી ખુલ્લા રહેશે. જેથી શિવ ભક્તો કોઇપણ સમયે દર્શનનો લ્હાવો લઈ શકશે.
સોમનાથમાં ભક્તોની ભારે ભીડ આવતી હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે
સુરક્ષાની વાત કરીએ તો, પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગેટની સંખ્યા 6 થી વધારીને 10 કરી દેવામાં આવી છે. અહીં 500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત તૈનાત રહેશે. આ સાથે ઇમરજન્સી માટે 24 કલાક મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભક્તોની અવરજવર માટે વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવતા ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે! અત્રે નોંધનીય છે કે, સોમનાથમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૈલાશ ખેર પણ હાજર રહેશે. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ આવતા શિવભક્તોને અદ્ભૂત અનુભવ થશે.



