
સુપ્રીમ કોર્ટે પુષ્કર રાજ સભરવાલને આપ્યું આશ્વાસન, કેન્દ્ર અને DGCA પાસેથી માંગ્યો જવાબ
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને AAIB (Aircraft Accident Investigation Bureau (India)નો રિપોર્ટ આવ્યા બાદ પાઇલટ સુમિત સભરવાલના પિતાને આઘાત લાગ્યો હતો. કારણ કે AAIBએ આપેલા વિમાન દુર્ઘટનાના રિપોર્ટમાં અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટ સુમિત સભરવાલને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. જેને લઈને ન્યાયની માંગ સાથે સુમિત સભરવાલના પિતા પુષ્કર રાજ સભરવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
વિદેશી મીડિયાના અહેવાલો ખોટા છે
અમદાવાદ એરપોર્ટ પર 12 જૂને થયેલી એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર દુર્ઘટનાના મૃતક પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કર રાજ સભરવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જણાવાયું હતું કે અકસ્માતની તપાસ અત્યાર સુધી નિષ્પક્ષ રહી નથી. અરજદારના મતે, ટેકનિકલ ખામીઓને અવગણવામાં આવી છે અને દુર્ઘટનાનો દોષ પાઇલટ્સ પર ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ અકસ્માતની નિષ્પક્ષ તપાસ કરવા વિનંતી કરી છે.
આગામી સુનાવણી દસમી નવેમ્બરે યોજાશે
મૃતક પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કર રાજ સભરવાલની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. આ અરજીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસેથી જવાબ માંગતા નોટિસ જારી કરી છે. જોકે, સુનાવણી દરમિયાન કોર્ટે પાઇલટના 91 વર્ષીય પિતાને આશ્વાસન આપતા કહ્યું કે, “તમારા પુત્રને દોષી ઠેરવવામાં આવી રહ્યો છે, તમારે એવું માનવાનો બોજ પોતાના માથે ન રાખવો જોઈએ. પ્રારંભિક તપાસ આવા કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. વિદેશી મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો ખોટા છે.” કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ અરજીની સાથે બીજી પેન્ડિંગ અરજીની પણ સુનાવણી કરવામાં આવશે અને આગામી સુનાવણી 10 નવેમ્બરે થશે.
તપાસ અહેવાલની ગુપ્તતા અંગે સવાલ
સુપ્રીમ કોર્ટે અગાઉ 22 સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન તપાસ અહેવાલના પસંદગીના ભાગોના પ્રકાશન પર નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં અકસ્માત માટે પાઇલટની ભૂલને પ્રકાશિત કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી. તેથી, સંપૂર્ણ ગુપ્તતા જાળવવી જરૂરી છે. અમુક અહેવાલોમાં જણાવાયું છે કે પાઇલટ્સ, કેપ્ટન સુમિત સભરવાલ અને ક્લાઇવ કુંદર વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. કોકપીટ ઓડિયોમાં એક પાઇલટ પૂછતો હતો કે, “તમે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી?” અને બીજા પાઇલટે જવાબ આપ્યો કે, “મેં કરી નથી.”
અમદાવાદવાદીઓ માટે કમનસીબ ઘટના
ઉલ્લેખનીય છે કે 12 જૂનના અમદાવાદ એરપોર્ટથી લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી થોડી મિનિટોમાં જ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું, જ્યાં મેડિકલ વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં પાઇલટ, ક્રૂ અને મુસાફરો સહિત 241 લોકોના મોત થયા હતા, જ્યારે માત્ર એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં મેડિકલ કોલેજમાં પણ ઓગણીસ લોકોના મોત થયા હતા.



