ડૉક્ટરોને સલામ! સિવિલમાં સતત 25 કલાક કામ કરી 275 મૃતહેદના પોસ્ટમોર્ટમ કર્યાં

અમદાવાદઃ વિમાન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. વિમાનમાં 1.25 લાખ લીટર ઇંઘણ હોવાથી ક્રેશ થયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો. જેથી લોકો તેમાં જીવતા ભડથું થયાં હતા. કાટમાળમાંથી મૃતદેહ કાઢતી વખતે સુરક્ષાકર્મીઓનો આત્મા પણ કકળી ઉઠ્યો હતો. છતાં સતત કામગીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં અને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યાં હતા. અમદાવાદ સિવિલમાં અનેક શહેરોના ડૉક્ટરો સતત સેવામાં કાર્યરત જોવા મળ્યાં છે.
80થી 90 ડૉક્ટરોએ સેવા આપી 275 મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યાં
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કોઈએ પોતાનો દીકરો, કોઈએ દીકરી ગુમાવી તો કોઈએ પોતાના માતા-પિતા ગુમાવ્યાં છે. આ મૃતકોના પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહ માટે સિવિલ ખાતે રાહ જોઈને બેઠા હતાં. મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી જલ્દી ઓળખ થઈ શકે તેમ નહોતી. જેથી પરિવારના બ્લડ સેમ્પલ લઈને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ઓળખ થઈ શકે તેમ હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સતત 25 કલાક સુધી સિવિલમાં 80થી 90 ડૉક્ટરોએ સેવા આપી અને 275 મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યાં છે, આ કામગીરી હજી પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
માત્ર ચા-કોફીના સહારે ડૉક્ટરો સતત કામ કરતા રહ્યાં
ખાસ કરીને વાત કરવામાં આવે તો, પોસ્ટમોર્ટમ વોર્ડમાં તમામ ટેબલ, ફ્લોર પર મૃતદેહો હતાં. આ વોર્ડમાં પગ મુકી શકાય એટલી પણ જગ્યા નહોતી. મહત્વની વાત છે કે, ડૉક્ટરો સતત 25 કલાક સુધી પોસ્ટમોર્ટમ કર્યાં છે. માત્ર ચા અને કોફી પર નભ્યા અને સતત કામ કરતાં રહ્યાં હતાં. ઘટના સ્થળ પરથી લાશોને બહાર કાઢ્યા પછી એમ્બ્યુલન્સ સીધા પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવી રહી હતી. ઘટના સ્થળ પરથી મોટાભાગે મૃતદેહો જ મળી રહ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, મૃતદેહોમાં પણ આખી બોડી નહોતી મળી રહી, અનેક મૃતદેહના તો માત્ર ટુકડા જ મળ્યાં હતા.
આ પણ વાંચો…વિમાન દુર્ઘટનાના કપરા કાળમાં માનવતાના દર્શન: અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો કાળજું ઠારશે!