
અમદાવાદ: અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ. આજનો દિવસ ઐતિહાસિક રથયાત્રા માટે પણ જાણીતો છે. ભારતમાં રથયાત્રાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે બંને ભાઈ પોતાની બહેન સાથે પોતાના રથમાં બેસીને નગરચર્યા કરવા માટે નીકળે છે. જે દેશની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. જેની શરૂઆત પહિંદ વિધિથી કરવામાં આવે છે. આ પહિંદ વિધિ શું છે? આવો જાણીએ.
પહિંદ વિધિ કેવી રીતે કરવામાં આવે છે?
રથયાત્રાના દિવસે જગન્નાથપુરીના રાજાઓના વંશજો સાવરણી વડે રથની આગળનો રસ્તો સાફ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હતા. જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે, એ સાવરણી સોનાની હોતી હતી. આજે પણ સોનાની સાવરણી વડે જ પહિંદ વિધિ કરવામાં આવે છે.
પહિંદ વિધિમાં સોનાની સાવરણીનો જ ઉપયોગ કેમ થાય છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનુ ખૂબ જ પવિત્ર ધાતુ છે. દેવી-દેવતાઓની પૂજામાં આ ધાતુનું વિશેષ સ્થાન છે. તેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ફક્ત સોનાના સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. સોનાને ગુરુ ગ્રહ સાથે પણ જોડવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનું કારણ છે. તેથી રથયાત્રાની શરૂઆતમાં સોનાના સાવરણીથી સફાઈ કરવાથી યાત્રા શુભ સાબિત થાય છે.
ઉલ્લેખનીય છે કે, જગન્નાથપુરી બાદ અમદાવાદમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં 400 વર્ષ જૂના ભગવાન જગન્નાથના મંદિરેથી રથયાત્રા નીકળે છે. આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી ચૂક્યા છે.