Rajkot ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર, પીડિત પરિવારોમાં રોષ
![Rajkot Game Zone](/wp-content/uploads/2025/02/Rajkot-Game-Zone.webp)
અમદાવાદઃ રાજકોટના(Rajkot)નાના મૌવા રોડ નજીક આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં 2024ના મે મહિનામાં રા આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો હતો. જેમાંથી ત્રણ આરોપીનાં જામીન તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. જેથી પીડિત પરિવારો રોષે ભરાયા હતાં અને આ જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી બતાવી હતી.
આરોપીઓ સામે રોજ કેસ ચાલે તેવી પણ માગ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ટીઆરપી અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાના ઈજનેર રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ હતી.
આપણ વાંચો: Rajkot નો ટીઆરપી ગેમ ઝોન ચાર વર્ષથી ફાયર NOC કે મંજૂરી વગર ચાલતો હતો
ત્રણ આરોપીને જામીન મળતાં પીડિત પરિવારોએ સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ જામીન રદ કરે તેવી માગ કરી હતી. પીડિત પરિવારોએ ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર સુપ્રીમમાં નહીં જાય તો આરોપીનાં જામીન રદ કરવા તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવી હતી. પીડિત પરિવારોએ આરોપીઓ સામે રોજ કેસ ચાલે તેવી માગ કરી હતી.
પીડિત પરિવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે
પીડિત પરિવારના વકીલે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી રદ્દ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા રાજકોટ મનપાના ત્રણ એન્જીનીયર એટીપીઓ રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને આસી. એન્જી. જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાયા હતાં.
જેથી પીડિત પરિવારોની લાગણી દુભાઈ છે. આ મામલે સરકાર હાઇકોર્ટનાં નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન રદ્દ કરાવે તેવી માગ કરી છે. સરકાર સુપ્રીમમાં નહીં જાય તો પીડિત પરિવાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવશે.