કડી-વિસાવદરમાં ત્રિપાંખિયો નહીં ચતુષ્કોણીય જંગ જામશેઃ શંકર સિંહ વાઘેલાની પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. આ સીટ જીતવા ભાજપ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા બંને સીટ પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા, જ્યારે ભાજપ અને કોંગ્રેસ ટૂંક સમયાં ઉમેદવાર જાહેર કરશે. રાજ્યાના પૂર્વ મુખ્ય પ્રધાન શંકર સિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ કડી અને વિસાવદર સીટ પર ઉમેદવારો જાહેર કર્યા હતા.
કડી બેઠક પર ડો. ગિરીશભાઈ કાપડીયા અને વિસાવદર બેઠક પર કિશોરભાઈ કાનકડ (કાનપરિયા)ને ટિકિટ આપવામાં આવી હતી. પક્ષના કાર્યાલય ખાતે યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારના નામ પર મંજૂરી મારવામાં આવી હતી.
આ બંને બેઠક પર કેમ યોજાશે પેટા ચૂંટણી
ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.
આપણ વાંચો: વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ અંગે પક્ષોમાં જાગી તાલાવેલી, ક્યારે થશે જાહેરાત?
કડી બેઠકનો ઇતિહાસ
કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2022માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી, જેના માટે હવે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
વિસાવદર બેઠકનો ઇતિહાસ
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર લેઉવા પટેલોનો દબદબો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદારો મોટાભાગે પાટીદાર ઉમેદવારને જીતાડે છે. આ બેઠક પર 2012ની ચૂંટણીથી ભાજપનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી.
એક રીતે કહીએ તો ભાજપ આ બેઠક કોઈ પણ સ્થિતિમાં હાંસલ કરી શક્યુ નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી ત્યારે પણ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને 7,063 મતે હરાવ્યા હતા. વિસાવદર વિધાનસભા બેઠક પર હંમેશાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહ્યો છે.
વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 2023માં આમ આદમી પાર્ટીથી રાજીનામુ આપી, પાર્ટી છોડી ભાજપમાં કેસરિયો ધારણ કર્યો હતો. તેમની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેના કારણે પેટા-ચૂંટણી યોજાઈ ન હતી.
હાલ વિસાવદર બેઠક ખાતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયા ઉતાર્યા છે. કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીમાં ઉતારશે એવી જાહેરાતથી વિસાવદર ખાતે આ પેટા-ચૂંટણી ત્રિપાંખીયો જંગ બની રહેશે.
વિસાવદર બેઠક પર મુખ્ય ધારાના રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષ પણ વિજયી બન્યા છે. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેંસાણીયા વિજયી બન્યા હતા. 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા તો 1975માં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરાજી ભેંસણીયા જીત્યા હતા.
આપણ વાંચો: કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 15 જૂન પહેલા પેટા ચૂંટણી યોજાવાની શક્યતા
1980 અને 1985માં કોંગ્રેસના ધીરજલાલ રિબડીયા વિજયી બન્યા હતા. 1995માં ભાજપનો પ્રથમ વિજય પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપથી 1995 અને 1998માં અને પોતાના પ્રાદેશિક પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજયી થયા હતા. ભાજપ 2007 બાદ વિસાવદર બેઠક પર જીત મેળવી શક્યું નથી. કોંગ્રેસના હર્ષદ રિબડીયા 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.
2022 પહેલા હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. 1995માં ભાજપની જીત બાદ કેશુભાઇ પટેલ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનનાર કનુભાઇ ભાલાળા રાજ્ય સરકારમાં કૃષિ પ્રધાન બન્યા હતા.
આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે, જે નોંધનીય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, 2007 બાદ વિસાવદર બેઠક પર સરકાર વિરોધી પક્ષના ઉમેદવારોને સ્થાનિક મતદારો મહોર મારી જીતાડે છે.
જેના કારણે રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સતત સંધર્ષ કરવો પડે છે. રાજકીય પક્ષ, સરકારના કામ કરતા વિસાવદર પર ઉમેદવારનો ચહેરો જ ચાલે છે. સ્થાનિક મતદારો સ્થાનિક ઉમેદવાર પર ભરોસો કરીને જીતાડે છે. સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક અસ્મિતાના આધારે વિસાવદર વિધાનસભા બેઠક પર હાર-જીતનો નિર્ધાર થાય છે.