અમદાવાદમાં PM Modi: નિકોલમાં શા માટે જાહેર સભા યોજવામાં આવશે, કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની યોજના નિષ્ફળ…

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ શો અને જાહેર સભાનું આયોજન કરશે. આજે અમદાવાદ એરપોર્ટથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે.
ત્યાર બાદ 5,477 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને લઈને નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે કોંગ્રેસના વિરોધની યોજનાને નિષ્ફળ બનાવવા પોલીસે અગાઉથી કાર્યવાહી હાથ ધરી છે.
25 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર સાંજે 4 વાગ્યે આવશે અને ત્યાંથી સીધા નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. આ રોડ શો બાદ યોજાનારી જાહેર સભામાં તેઓ 5477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે.
નિકોલમાં જ કેમ જાહેર સભાનું કર્યું આયોજન
નિકોલમાં જ જાહેર સભા માટે પાર્ટી તરફથી સ્થાનિકોમાં પ્રવર્તતો અણગમો જવાબદાર છે. કરોડો રુપિયાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હોવા છતાં જનતાની સમસ્યાઓમાં વધારો થયો છે, તેથી અહીં જાહેરસભા યોજવામાં આવી છે. વડા પ્રધાનની નિકોલ સભા પહેલા જ અમદાવાદ પોલીસે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.

ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની યોજના
કોંગ્રેસે ખરાબ રસ્તાઓ અને ભ્રષ્ટાચારના મુદ્દે કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શનની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે આગોતરી કાર્યવાહી કરીને કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ, શહેર પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક સહિત 25થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓને નજરકેદ કર્યા.
આ કાર્યવાહીથી કોંગ્રેસનો વિરોધ નિષ્ફળ રહ્યો, અને કાર્યક્રમને લઈને શાંતિ જાળવવા પોલીસે કડક પગલા લીધા હતા. નિકોલમાં વડા પ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેટલાક રસ્તાઓ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પાર્કિંગ માટે AMDA પાર્ક એપ દ્વારા સ્લોટ બુક કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેની સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપવામાં આવી છે. સભાસ્થળ પાસે વડા પ્રધાન અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ માટે ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જ્યૂસ, ચા-કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.
5,477 કરોડ રુપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ
આ પહેલાં વડા પ્રધાન મોદી 26-27 મે, 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા. આ વખતે નિકોલના કાર્યક્રમ દરમિયાન 5477 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે, જેમાં રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ગુજરાતના વિકાસ અને રાજકીય વાતાવરણ પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે