પીએમ અને રાષ્ટ્રપતિએ આપી રથયાત્રાની શુભકામના, કચ્છી માડું માટે પીએમ મોદીએ કરી ખાસ પોસ્ટ

અમદાવાદઃ આજે અષાઢી બીજના દિવસે ભારતમાં અનેક સ્થળોએ રથયાત્રા નીકળી છે. પરંતુ પુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નિમિત્તે અનેક રાજકીય લોકો શુભેચ્છાઓ પાઠવી છે. જગન્નાથની રથયાત્રા હિંદૂ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. જેથી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક મોટા નેતાઓ રથયાત્રાની શુભકામનાઓ આપી છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘પવિત્ર રથયાત્રાના અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા ભગવાન જગન્નાથના ભક્તોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. લાખો ભક્તો ભગવાન બલભદ્ર, ભગવાન શ્રી જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનને રથ પર જોઈને દિવ્ય આનંદનો અનુભવ કરે છે.’ આ સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રથયાત્રાની શુભેચ્છાઓ આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. હું ઈચ્છું છું કે શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. જય જગન્નાથ!’ આ શુભકામનાઓ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.
વડા પ્રધાને એક બીજી પોસ્ટ કરીને કચ્છના લોકો ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. કારણે કે, કચ્છી માડું માટે અષાઢી બીજ એ નવું વર્ષ ગણાય છે. કચ્છના લોકો માટે વડા પ્રધાને લખ્યું કે, ‘અષાઢી બીજ એટલે કચ્છી નયેં વરેંજે અવસર તેં કચ્છમેં અને દેશ, દુનિયામેં વસધલ કચ્છી ભા, ભેણેં કે ધિલસેં વધાઇયું ડીયાંતો અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય હમેશાં જળવાઇ રે એડ઼ી શુભેચ્છાઉં ડીયાંતો’.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોસ્ટ કરતા લખ્યું કે, ‘જય જગન્નાથ! શ્રી જગન્નાથ રથયાત્રાના શુભ પર્વ પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. શ્રી જગન્નાથજીની રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિનો એક અનોખો સંગમ છે, જે આપણને શીખવે છે કે ભક્તિ, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખીને આગળ વધવું એ આપણા અસ્તિત્વનો આધાર છે. હું મહાપ્રભુ જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રાને બધાના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.’ આજે રથયાત્રા નિમિત્તે ભારતભરના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા દરમિયાન અમિત શાહે દર્શન કર્યાં હતાં.
આ પણ વાંચો…જગન્નાથની 148મી રથયાત્રાઃ જમાલપુર દરવાજામાં ટ્રક ફસાઈ, ખાડિયામાં ગજરાજ બેકાબૂ