ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી થયો પ્રારંભ, જાણો શું છે મહિમા

અમદાવાદઃ ગુજરાત-ભારત સહિત વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પર આજ 29મી માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27મી એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે.
નર્મદા પરિક્રમામાં જુદા જુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મ્ય છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે.
આ પણ વાંચો: નશામાં વાહન ચલાવતા ઝડપાયા તો આવી બન્યું સમજો, ફોટો ઓનલાઈન થઈ જશે અપલોડ
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા
સમગ્ર વિશ્વમાં 1.50 લાખ, ભારતમાં 400 અને ગુજરાતમાં અંદાજે 185 નદીઓ છે. આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલા ગંગા-યમુના-સરસ્વતી (અદૃશ્ય)ના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે, પરંતુ ગુજરાત-ભારત સહિત વિશ્વમાં નર્મદા સિવાય કોઈ પણ નદીની પરિક્રમા નથી યોજાતી. એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે.
નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા
પુરાણોમાં ઉલ્લેખ છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શનમાત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો નર્મદાનાં ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાતના અખાત સુધીની નર્મદા પરિક્રમા કરે છે. આ નર્મદા પરિક્રમા માર્ગ લગભગ 2624 કિલોમીટરનો હોય છે. જોકે કેટલાક શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેને પૂર્ણ કરતા મહિનાઓ લાગે છે. તેથી તેઓ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો:ગુજરાત સરકારનો આ છે સૌથી ભ્રષ્ટ વિભાગ, જાણો વિગત…
કરોડો રૂપિયાના ખર્ચે પરિક્રમાર્થીઓ માટે સુવિધાઓ ઊભી કરાઈ
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે રૂ. 3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને પગલે નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય કર્મચારી અધિકારી હેડ કેવાટર નહીં છોડવાના આદેશો આપવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓને નર્મદા પરિક્રમા માટે વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. આ વર્ષે નર્મદા પરિક્રમામાં લાખો ભક્તો ઉમટી પડવાની સંભાવનાના કારણે આ નિર્ણય લેવાયો છે.