9.92 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદમાં બન્યું ન્યાય મંદિર, કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું લોકાર્પણ | મુંબઈ સમાચાર
અમદાવાદ

9.92 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદમાં બન્યું ન્યાય મંદિર, કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું લોકાર્પણ

અમદાવાદના સાણંદ ખાતે કાયદા પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત 9.92 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાતા સાણંદમાં ઔધોગિક પ્રગતિ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળે તે હેતુસર તાલુકામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ ન્યાય મંદિરનું લોકાર્પણ કરાયું છે.

ન્યાય મંદિર થકી લોકો ન્યાયી યાત્રા સુખાકારી બનશેઃ ઋષિકેશ પટેલ

ઋષિકેશ પટેલે દેશના બંધારણ દ્વારા ઘડેલી ન્યાયપ્રણાલીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, સુવ્યવસ્થાના ભાગરૂપે ચાર પ્રકલ્પો અગત્યના છે. જેમાં આસ્થાનું મંદિર, શિક્ષણનું મંદિર, આરોગ્ય મંદિર અને ન્યાય મંદિરનો સમાવેશ થાય છે. રાજ્યના દરેક તાલુકામાં અદ્યતન કોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં આરોગ્યની વ્યવસ્થા, વિજ્ઞાન ટેક્નોલોજીથી સભર અને ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બને તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટનું પણ ઝડપી અમલીકરણ કરાઈ રહ્યું છે.

લોકોને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળવો જોઈએઃ ઋષિકેશ પટેલ

નવા ન્યાય મંદિર વિશે વાત કરતા ઋષિકેશ પટેલે કહ્યું કે, આ ન્યાય મંદિરથી સાણંદની ન્યાયી યાત્રામાં વધુ સુદઢતા અને સુખાકારી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે સરળ, સસ્તો અને ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે આવશ્યક છે. જે માટે રાજ્ય સરકાર, ગુજરાત હાઇકોર્ટના સૂચન અનુસાર તમામ પ્રકારની સુગમ વ્યવસ્થા સુનિશ્રિત કરવા પ્રયાસરત છે.

ન્યાય મંદિર નાગરિકોના વિશ્વાસનું મંદિર છે

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તથા અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા અદાલતના એડમિનિસ્ટ્રેટિવ જજ સંગીતા વીશેન દ્વારા દ્વારા ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સાણંદ ગુજરાતના ઔધોગિક વિકાસનું રોલ મોડલ છે. છેલ્લા વર્ષોથી ઝડપી વિકસિત બનેલા સાણંદની વિકાસયાત્રામાં નવા પ્રકલ્પ ‘ન્યાય મંદિર’નો ઉમેરો થયો છે તે ગૌરવપૂર્ણ બાબત છે. મજબૂત ન્યાયપાલિકા વિકાસની મહત્વપૂર્ણ કડી છે. વધુમાં તેમણે 1980 ના દાયકામાં શરૂ થયેલી સાણંદ કોર્ટની અત્યાર સુધીની સફર પણ વર્ણવી હતી.

સાણંદ નવીન ન્યાય મંદિર કેવી સુવિધાઓ છે?

સાણંદ નવીન ન્યાય મંદિરની સુવિધાઓ વિશે વાત કરીએ તો, બે માળના આધુનિક ‘ન્યાય મંદિર’માં લાયબ્રેરી, બેંક, પોસ્ટ ઓફિસ, કેન્ટિન, ઝેરોક્ષ રૂમ, પુરુષ તથા મહિલા બારરૂમ માટેના પ્રસાધન, કેદી માટેના પ્રસાધન, આ ઉપરાંત ચાર જેટલા કોર્ટ રૂમ, કોન્ફરન્સ રૂમ, જજીસ લાયબ્રેરી, ઇ-સેવા કેન્દ્ર, વિડિયો કોન્ફરન્સ રૂમ કનેક્ટેડ વિથ જેલ, મેડિકલ સુવિધા અને મીડિયેશન સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

લોકાર્પણ કાર્યક્રમમાં આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા

આ લોકાર્પણ પ્રસંગમાં સાણંદ તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર.એસ.શાહ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ પી.એમ.ત્રિવેદી, સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ એચબી ચૌહાણ, ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષ દાવડા, કાયદા વિભાગના સેક્રેટરી યુએમ ભટ્ટ તથા ન્યાયિક અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, સિનિયર એડવોકેટઓ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સાણંદના સભ્યઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button