હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશેઃ આ બે એક્સપ્રેસ વે બનાવી રહી છે સરકાર

અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. રાજ્યમાં છ નવા એક્સપ્રેસવે રૂટનું આયોજન શરૂ થઈ ગયું છે, અમદાવાદ-દ્વારકા, સોમનાથ, પોરબંદર અને ડીસા-પીપાવાવ સુધીના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના ભાગનો નમો શક્તિ એક્સપ્રેસવેમાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 1110 કિમી લાંબો આ હાઈવે 13 જિલ્લાને આવરી લેશે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય 30%થી વધુ ઘટશે, જે રાજ્યની 45%થી વધુ વસ્તીને લાભ આપશે. આ યોજના રાજ્યના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસને નવી ઊંચાઈઓ આપશે.
આ વર્ષના બજેટમાં જાહેર થયેલા આ પ્રોજેક્ટમાં નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત અંદાજે ₹93,240 કરોડ છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC) આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યું છે. રૂટની ડિઝાઇન નક્કી થયા બાદ છ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે અને 36 મહિનામાં બાંધકામ પૂર્ણ થશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ યોજનાને ઝડપથી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાઇવે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ અથવા અન્ય નવીન કરાર પદ્ધતિઓ દ્વારા વિકસાવવામાં આવશે.
સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે, જેની કિંમત ₹57,120 કરોડ છે, તેમાં રાજકોટ-પોરબંદર, અમદાવાદ-રાજકોટ અને જેતપુર-સોમનાથ સેગમેન્ટનો સમાવેશ થાય છે. આનાથી અમદાવાદથી સોમનાથની મુસાફરી માત્ર ચાર કલાકમાં શક્ય બનશે. નમો શક્તિ એક્સપ્રેસવેની કિંમત ₹36,120 કરોડ છે, જે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને જોડશે. આ બંને એક્સપ્રેસવે 42 ઇન્ટરચેન્જ સાથે બનશે. આ એક્સપ્રેસ વેથી ટ્રાફિક પ્રવાહમાં સુધારો થવાથી ભીડ ઓછી થશે અને વાહનોનું પ્રદૂષણ ઘટશે તેવી પણ અપેક્ષા છે.
આ એક્સપ્રેસવે ગુજરાતના મુખ્ય બંદરો અને ઔદ્યોગિક ક્ષેત્રો જેમ કે માંડલ SIR, સાણંદ, ધોલેરા અને પોરબંદર-કોડીનારને જોડશે. પ્રવાસન સ્થળો જેવા કે અંબાજી, ધરોઈ, પોલો ફોરેસ્ટ, મોઢેરા અને દ્વારકા પણ સરળતાથી સુલભ બનશે. દર 50 કિમીએ રેસ્ટ એરિયા, ફૂડ આઉટલેટ્સ, ફ્યુઅલ સ્ટેશન અને મેડિકલ સુવિધાઓ હશે. પર્યાવરણનું ધ્યાન રાખીને વન્યજીવો માટે ઓવરપાસ અને અંડરપાસ બનાવવામાં આવશે.