અતુલ્યમ હોસ્ટેલમાં રહેતો હતો મેઘાણીનગરના પીઆઈનો દીકરો, પ્લેન ક્રેશમાં કેવી રીતે બચ્યો તેનો જીવ?

અમદાવાદ વિમાન દુર્ઘટનાને કોઈ ભૂલાવી શકે એમ નથી. દુર્ઘટનામાં અનેક લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે સદનસીબે કેટલાક લોકોનો જીવ બચી ગયો છે. આવા લોકો ઈશ્વરનો પાડ માનવાનું ભૂલતા નથી. આજે અમે આવા જ એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ.

બી.જે. મેડિકલ હોસ્પિટલની ‘અતુલ્યમ’ હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પ્રસાશન ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સામેલ હતા. આ સમયે ઘટનાસ્થળે પહોંચેલા પી.આઈ. ડી.બી.બસિયાને મેડીકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતો પોતાનો દીકરો યાદ આવ્યો હતો. કારણ કે તે પણ આ જ હોસ્ટેલમાં રહેતો હતો.

પી.આઈ. ડી.બી.બસિયાને દીકરાની ચિંતા થઈ કે તે ક્યાં હશે? તે પણ કદાચ હોસ્ટેલમાં તો નહીં હોય? તેને ઘરે પત્નીને ફોન કરીને દીકરા રજત વિશે પૂછવાની ઈચ્છા થઈ. પરંતુ તે આ વિચારની ટાળી રહ્યા હતા. તેઓને ડર હતો કે આવું કરવાથી પરિવારજનો ગભરાઈ જશે.

આખરે ડી.બી. બસિયાએ દીકરા રજતને ફોન કર્યો. બે-ત્રણ રિંગ વાગ્યા બાદ રજતે ફોન ઉપાડ્યો. ડી.બી. બસિયાએ પૂછ્યું કે, “રજત તું ક્યાં છે?” રજતે કહ્યું કે, “પપ્પા હું ઘરે જ છું.” બસીયાએ આગળ પૂછ્યું કે, “બેટા તું આજે કોલેજ નથી ગયો?” રજતે કહ્યું કે,”હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બપોરે હોસ્ટેલ ચાલ્યો જઈશ.”

રજતના જવાબથી ડી.બી. બસિયાને વિશ્વાસ ન આવ્યો. તેમણે પોતાની પત્નીને ફોન કરીને રજત વિશે પૂછ્યું. પત્નીએ કહ્યું કે, “રજત ઘરે જ છે.” પત્નીના આ જવાબથી તેમણે રાહતનો શ્વાસ લીધો અને તેઓ પોતાના કામમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમણે પોતાના પરિવાર સાથે વીડિયો કોલ કરીને દુર્ઘટના અંગે વાત કરી હતી.