પતિનો જન્મ દિવસ મનાવવા લંડન જઈ રહી હતી પત્ની, પ્લેન ક્રેશમાં થયું મોત
પતિએ 19 જૂનની ટિકિટ રદ્દ કરી 12 જૂનની કરાવી

અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોઈની પત્ની તો કોઈના પતિનું મૃત્યુ થયું છે. દિવંગત હરપ્રીત કૌર પણ આવી જ એક મહિલા છે. પતિનો જન્મ દિવસ મનાવવા તે અમદાવાદથી લંડન જઈ રહી હતી. પરંતુ અમદાવાદમાં જ તેના જીવનની સફર અધૂરી રહી ગઈ હતી.
પતિ સાથે માત્ર 1 વર્ષ 3 મહિના સુધી રહી હરપ્રીત
અમદાવાદ હરપ્રીતનું પિયર હતું. 2020માં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ હરપ્રીત પતિ સાથે લંડનમાં 1 વર્ષ 3 મહિના સુધી રહી હતી. જોકે કારકિર્દીના અર્થે પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ નોકરી કરી રહ્યા હતા. હરપ્રીત બેંગલૂરૂની આઈટી કંપનીમાં નોકરી કરતી હતી. જ્યારે તેનો પતિ લંડનમાં નોકરી કરતો હતો.
ટિકિટની તારીખ બદલાઈ અને મળ્યું મોત
16 જૂનના રોજ હરપ્રીતના પતિનો જન્મદિવસ આવી રહ્યો હતો. જેથી હરપ્રીતે લંડન જવાનું નક્કી કર્યું હતું. જોકે પહેલા હરપ્રીતે 19 જૂનની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ હરપ્રીતના પતિએ તેને રદ્દ કરીને 12 જૂનની કરી દીધી હતી.
અમદાવાદ રહેતા હરપ્રીતના પિતાએ હૃદયનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી તે અમદાવાદ આવી હતી. હરપ્રીતે લંડન જવા માટે અમદાવાદથી વિમાનમાં બેસીને લંડન જવાનું નક્કી કર્યું હતું. પરંતુ 12 જૂને હરપ્રીત અમદાવાદથી જે વિમાનમાં બેસીને લંડન જવા માટે રવાના થઈ એ જ પ્લેન ક્રેશ થયું.
મીડિયા સાથે વાત કરતા હરપ્રીતના સસરા હરજીત સિંહે જણાવ્યું કે, “હરપ્રીતે 16 જૂને મારા દીકરાનો જન્મદિવસ મનાવવાની યોજના બનાવી હતી. તે એને મળવા લંડન જઈ રહી હતી. પરંતુ આ વખતે ન થવાનું થયુ અને તે કાયમને માટે ચાલી ગઈ.” હાલ હરપ્રીતના ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો…સંઘ પ્રચારકથી લઈને લગ્ન સુધી, વિજય રૂપાણી અને અંજલીબેનની અનોખી પ્રેમ કહાની…