ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં વિધાર્થિનીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી…

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિધાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એનએસએસ કેમ્પ માટે બોટાદથી અમદાવાદ આવેલી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ 21 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.
21 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા
ઘટનાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ વિદ્યર્થિની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રહેતી હતી. 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ એનઆરઆઈ હોસ્ટેલની સામે આવેલા ગેસ્ટ હાઉસમાં આત્મહત્યા કરી લીધી છે. જો કે, વિદ્યાર્થિનીએ શા કારણે આત્મહત્યા કરી તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. હજી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આખરે એવું તો શું થયું હતું કે મહેશ્વરીએ આત્મહત્યાનો રસ્તો અપનાવવો પડ્યો? પોલીસ દ્વારા હજી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ખાચર નામની વિદ્યાર્થિની મૂળ તો બોટાદની વતની છે. અત્યારે તે રાણીપ વિસ્તારમાં રહેતી હતી અને એલડી આર્ટ્સ કોલેડમાં અત્યાસ કરતી હતી. તે એનએસએસ કેમ્પ માટે ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી તેવું સૂત્રોએ જણાવ્યું છે. વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા પોલીસનો કાફલો યુનિવર્સિટી ખાતે દોડી આવ્યો હતો. FSLના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.



