Gujarat માં મધ્યાહન ભોજન યોજનામા સરકારની નવી પહેલ, કપાસિયાના બદલે સીંગતેલનો ઉપયોગ કરાશે

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં સરકારે નવી પહેલ કરી છે. જેમાં હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
તેમજ રસોઈ બનાવવામાં કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે 2219.68 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: તો શું શિવ ભોજન યોજના થશે બંધ! જાણો હકીકત….
બાળક માટે પ્રતિ માસ રૂપિયા 222.20 નો ખર્ચ
આ ઉપરાંત બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે તા.1 ફેબ્રુઆરી 2023થી તા.31 જાન્યુઆરી, 2024 સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિ માસ રૂપિયા 156.78 અને ધોરણ 6 થી 8ના બાળક માટે પ્રતિ માસ રૂપિયા 222.20 નો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ જ પ્રકારે, તા.1 ફેબ્રુઆરી 2024 થી તા 31 જાન્યુઆરી, 2025 સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિમાસ રૂ.191.62 અને ધોરણ 6 થી 8ના બાળક માટે પ્રતિ માસ રૂપિયા 273નો ખર્ચ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: “માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન” સરકારની આ યોજનાએ સંતોષી કરોડો શ્રમિકોની ભૂખ…
મટિરિઅલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે મધ્યાહન ભોજન માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે 60 ટકા અને 40 ટકાનો હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. 13 ફેબ્રુઆરી, 2025ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટિરિઅલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.
બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી મટિરિઅલ કોસ્ટ નિયત
જે મુજબ, નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. 6.19 અને ધોરણ 6થી 8ના પ્રતિ વિદ્યાર્થી રૂ. 9.29 દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વધારાનાં ખાધતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ 5 માટે રૂ. 2 અને ધોરણ 6 થી 8 માટે રૂ. 2.37 દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવેલ છે.