અમદાવાદ

અમદાવાદ પ્લેન દુર્ઘટના: ગુજરાત સરકાર Air India પાસે 2.70 કરોડનું વળતર માંગશે

અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 12 જૂને બપોરે એર ઈન્ડિયાનું પ્લેન એઆઈ-171 અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરે છે અને થોડી જ ક્ષણોમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ અને કેન્ટિન સાથે ટકરાઈને ક્રેશ થયું હતું. આ દરમિયાને મુસાફરો સાથે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા રેસિડન્ટ ડૉક્ટરોનું પણ મોત થયું હતું. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા રેસિડન્ટ ડૉકટરોની નુકસાન પામેલી મિલકત માટે એર ઇન્ડિયા પાસેથી 2.70 કરોડ રૂપિયાનું વળતર માંગશે.

પુસ્તકો સહિત 2.70 કરોડની વસ્તુઓ બળીને રાખ થઈ

ગુજરાતના રાજ્ય સ્વાસ્થ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આની વિગતો આપી હતી. આરોગ્ય પ્રધાને કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે હોસ્ટેલમાં રહેતા ડૉકટરોના કપડાં, લેપટોપ, પુસ્તકો અને અન્ય આવશ્યક વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આ બધી વસ્તુઓની અંદાજિત કિંમત 2.70 કરોડ રૂપિયા છે. જેથી આ રકમ સરકાર એર ઈન્ડિયા પાસેથી વસૂલ કરવામાં આવશે. જોવાનું એ રહે છે કે, શું એર ઈન્ડિયા દ્વારા આ રકમ આપવામાં આવશે?

અકસ્માતમાં મૃતક 4 MBBS વિદ્યાર્થી માટે નિર્ણય લેવાનો બાકી!

મહત્વની વાત એ છે કે, અકસ્માતમાં માર્યા ગયેલા ચાર MBBS વિદ્યાર્થીઓ સહિત, જમીન પર મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી! આરોગ્ય પ્રધાને કહ્યું કે આ બાબત વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. મૃતકો માટે કેમ હજી નિર્ણય લેવાનો બાકી છે? MBBS વિદ્યાર્થીઓ અને જમીન પર હતા તે લોકોનું મોત થયું તે બાબતે પહેલા ચર્યા અને નિર્ણય લેવાની જરૂર છે.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેનક્રેશઃ 210 મૃતદેહોના ડીએનએ મેચ થયાઃ નાના બાળકોના ડીએનએ મેચ કરવાનું કામ કપરું

આ તપાસ પ્રક્રિયામાં ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નથી

આરોગ્ય પ્રધાને કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ અકસ્માતની તપાસ કરી રહી છે અને આ પ્રક્રિયામાં ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે ગુજરાત કેબિનેટે આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. આરોગ્ય મંત્રીએ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી માટે પણ શોક વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં કુલ 270થી પણ વધારે લોકોના મોત થયાં છે. પ્લેનમાં સવારા 242 યાત્રીઓમાંથી 241 લોકોના મોત થયાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button