અમદાવાદ

રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં 537.21 કરોડ રૂપિયાના વિકાસકાર્યોને મંજૂરી

અમદાવાદ: બજેટ પૂર્વે જ રાજ્ય સરકારે વિકાસકાર્યોની ભેટ આપી છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસકાર્યો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ 537.21 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ચાર મહાનગરપાલિકાઓને કરોડોની ભેટ

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકાઓને કુલ રૂ.309.72 કરોડના કામો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે રૂ.3.98 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે રૂ.35 કરોડ ફાળવવામાં આવશે.

આપણ વાંચો: કચ્છમાં અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય: રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી

રાજકોટ-જેતપુર સિક્સ લેન માટે 212.50 કરોડ ફાળવણી

આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ.212.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે 58.47 કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે.

પોરબંદર મહાનગરપાલિકાને 25 કરોડ રૂપિયા

નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે રૂ.13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે રૂ.11.69 કરોડ મળીને કુલ 25 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે રૂ. 1.70 કરોડ ફાળવ્યા છે.

આપણ વાંચો: સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ દૂધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ

નગરપાલિકાઓને રાજ્ય સરકારની ભેટ

આ ઉપરાંત રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે રૂ.1.52 કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે રૂ.11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે રૂ.55.86 કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે રૂ.3.56 કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને રૂ.1.91 કરોડ તથા કેશોદને રૂ.5.99 કરોડ ફાળવવાની મુખ્ય પ્રધાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

દ્વારકા નગરપાલિકાને રૂ.131.76 કરોડ

આપણ વાંચો: GIDCના વિકાસ માટે ₹ 564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ.131.76 કરોડ ફાળવવામાં આવશે. આ રકમમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે.

જેમાં વરસાદી પાણીનો નિકાલ, ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં સમાવેશ કરાશે.

દ્વારકા આવતા શ્રદ્ધાળુઓને લાભ

જેના પરીણામે દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસન ધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે. આ ઉપરાંત દ્વારકાધીશને ધજા ચડાવવા આવતા યાત્રિકો માટે પણ દ્વારકા નગરમાં થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button