
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 320 પર પહોંચ્યો છે. ગુજરાતમાં 22 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3758 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 363નો વધારો થયો હતો. કેરળમાં 1400, મહારાષ્ટ્રમાં 485, દિલ્હીમાં 436, પશ્ચિમ બંગાળમાં 287, તમિલનાડુમાં 199, ઉત્તર પ્રદેશમાં 149, રાજસ્થાનમાં 62, પુડ્ડુચેરીમાં 45, હરિયાણામાં 30, આંધ્રપ્રદેશમાં 23 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય પ્રધાન લોકોને સાવચેત રહેવાની સાથે ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોનાના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે. જેએફ-1 ઓમિક્રૉન વેરિએન્ટ જ છે. આ વેરિએન્ટમાં સામાન્ય રીતે જે લક્ષણો આવે છે, તેના સિમ્પટમના આધારે દર્દીઓને સારવાર અપાઈ છે. જ્યારે અત્યારે જેટલાં પણ દર્દીઓ છે, તેઓ હોમ આઈસોલેટ થકી સારવાર મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: ચંડોળાના કાટમાળને લઈ મ્યુનિસિપલ તંત્રએ કર્યો મોટો નિર્ણય
આરોગ્ય પ્રધાને એમ પણ કહ્યું કે,રાજ્યના લોકોને મારી વિનંતી છે કે, બને ત્યાં સુધી આવા લક્ષણો ઘરની અંદર જણાય તો વ્યક્તિને આઇસોલેટ કરો એ વધુ હિતકારક છે. જોકે, આનાથી ડરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર સાથે અને તેની સંસ્થાઓ સાથે આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે. કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની જરૂર છે.