ગુજરાત સરહદ પર આજે ગરજશે રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેટ, વાયુ સેના કરશે સૈન્ય અભ્યાસ

અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેની બાદ પાકિસ્તાને વળતો પ્રહાર કરીને ગુજરાત સહિત દેશના અન્ય સરહદી રાજ્યો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નાકામ બનાવ્યા હતા. તેની બાદ ભારતીય સેના સતત એલર્ટ મોડમાં છે. જેની બાદ હવે ભારતીય વાયુ સેના ગુજરાત બોર્ડર પર સૈન્ય અભ્યાસ કરશે. જેની માટે નોટમ જાહેર કરવામાં આવ્યું છે.
બપોરે 3:30 થી રાત્રે 9:00 વાગ્યા સુધી કવાયત
જેમાં મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેના 4 જૂનના રોજ બપોરે 3:30 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ગુજરાત દરિયાકાંઠે એક સુનિશ્ચિત સૈન્ય કવાયત કરશે. જેની માટે ઉડ્ડયન કર્મચારીઓને કામચલાઉ હવાઈ ક્ષેત્ર પ્રતિબંધો અંગે ચેતવણી આપવા માટે એરમેનને નોટમ જાહેર કરવામાં આવ્યો છે.
રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેટ અભ્યાસમાં સામેલ
આ કવાયતમાં રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેટ સહિત અગ્રણી ફાઇટર એરક્રાફ્ટ સામેલ થશે અને તેનો હેતુ ભારતીય વાયુસેનાની યુદ્ધની તૈયારીને વધારવાનો છે. જે દુશ્મનના લક્ષ્યોને ટાર્ગેટ કરવા અને વિમાનની હુમલો કરવાની ચોકસાઇની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. જેનાથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવામાં આવે છે.
નોટમ શું છે?
નોટમ એ એક સંદેશાવ્યવહાર સાધન છે જેનો ઉપયોગ ઉડ્ડયનમાં પાઇલોટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને અન્ય ઉડ્ડયન કર્મચારીઓને આવશ્યક માહિતી પહોંચાડવા માટે થાય છે. તે ફ્લાઇટ કામગીરીને અસર કરી શકે તેવા કામચલાઉ ફેરફારો અથવા જોખમો, જેમ કે બંધ રનવે, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અથવા લશ્કરી કવાયતો પર અપડેટ્સ પ્રદાન કરે છે. નોટમનો પ્રાથમિક હેતુ તમામ સંબંધિત પક્ષોને વાસ્તવિક સમયમાં જાણ કરીને ફ્લાઇટ સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
મે મહિનાની શરૂઆતમાં પણ નોટમ જાહેર કરાયું હતું
મે મહિનાની શરૂઆતમાં ભારતીય વાયુ સેનાએ 7 અને 8 મેના રોજ ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પાયે સૈન્ય કવાયત માટે નોટમ જાહેર કર્યું હતું. આ કવાયત ભારતના નિયમિત ઓપરેશનલ તૈયારી કવાયતનો એક ભાગ હતી. આ કવાયતમાં રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 જેવા તમામ ફ્રન્ટલાઈન વિમાનો સામેલ હતા. નોટમ એ નિર્ધારિત સમય દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ ક્ષેત્રને પ્રતિબંધિત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. જ્યારે સમગ્ર વિશ્વએ ભારતીય વાયુસેનાની શક્તિને નિહાળી હતી.
આ પણ વાંચો….રાફેલ ઉડાવી શકતી મહિલાઓ JAG કેમ બની શકે નહીં? સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ