રાજસ્થાન-યુપી જનારા પ્રવાસીઓ માટે ખુશખબરઃ સાબરમતી-સુલ્તાનપુર વચ્ચે દોડાવાશે વિશેષ ટ્રેન

અમદાવાદ: રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ જનારા યાત્રીઓ માટે શુભ સામાચાર છે. પ્રવાસીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સાબરમતીથી સુલ્તાનપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સેવા અંતર્ગત કુલ 6 ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
સાબરમતી-સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ
ટ્રેન સંખ્યા 04215 સાબરમતી–સુલ્તાનપુર સ્પેશિયલ 14, 21 અને 28 જૂન 2025 (શનિવાર) ના રોજ સાબરમતીથી 08:50 કલાકે ઉપડશે અને બીજાં દિવસે 11:00 કલાકે સુલ્તાનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 04216 સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 જૂન 2025 (શુક્રવાર) ના રોજ સુલતાનપુરથી 04:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 07:30 કલાકે સાબરમતી પહોંચશે.
ટ્રેન કયા કરશે સ્ટોપ?
આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા,પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા કૅન્ટ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 15 સ્લીપર કોચ અને 3 જનરલ શ્રેણીના કોચ રહેશે.
રોપડા બ્રિજની એક લેન 14 થી 17 જૂન 2025 સુધી બંધ
આ સાથે અમદાવાદના વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. એસ.પી. રિંગ રોડ પર વટવા નજીક આવેલા રોડ ઓવર બ્રિજ (ROB) નંબર 713-A, જેને રોપડા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની એક લેન 14 જૂન 2025 થી 17 જૂન 2025 સુધી બંધ રહેશે. આ નિર્ણય બ્રિજના સ્ટ્રેન્થનિંગ (મજબૂત કરવા) અને લોડ ટેસ્ટિંગના કામ માટે લેવામાં આવ્યો છે. ખાસ કરીને, વટવાથી હાથીજણ સર્કલ તરફ (ઉત્તર બાજુ) જતી લેન પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે. જોકે, વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે, રોપડા બ્રિજ પરનો ગેરાતપુર સાઇડ રોડની એક લેન આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે, જેનો ઉપયોગ કરીને વાહનચાલકો અવરજવર કરી શકશે.
આ પણ વાંચો…આવતીકાલે રેલવેના કામકાજને લીધે આ ટ્રેનોને થશે અસરઃ જાણી લો