અમદાવાદ

શરીરને સૌથી વધારે પોષણ આપતું ઘી જ હવે નથી રહ્યું શુદ્ધઃ વાંચો આ વિશેષ અહેવાલ

અમદાવાદ: 7 જૂનને વિશ્વમાં ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ શરીરનો આધાર વ્યક્તિની ખાણીપીણી પર રહેલો છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોય તો ખાસ ખ્યાલ આવતો નથી. પરંતુ ભેળસેળવાળો ખોરાક શરીરને લાંબાગાળે નુકસાન પહોંચાડે છે. જોકે આજના સમયમાં ઉત્પાદકો જીવન જરૂરી કહીં શકાય તેવા તમામ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી રહ્યા છે. જેમાં ઘી પહેલા નંબરે છે. ત્યારબાદ દૂધની બનાવટો, ખાદ્ય તેલ, મસાલા અને બોટલમાં ભરીને વેચાતા પાણીનો સમાવેશ થાય છે.

ક્યા ખાદ્ય પદાર્થમાં કોની ભેળસેળ?

આપણા શાસ્ત્રોમાં દેવું કરીને પણ ઘી ખાવાની વાત કરી છે. આનો અર્થ એ છે કે શરીરના પોષણ માટે ઘી ઘણું જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં સૌથી વધારે ભેળસેળ જો કોઈ ખાદ્ય પદાર્થમાં થતી હોય તો તે ઘી છે. તેમાં પામ તેલ તથા સોયાબીન જેવું સસ્તું તેલ ભેળવવામાં આવે છે. દૂધની બનાવટો જેવી કે પનીર અને માવામાં યુરિયાની ભેળસેળ મળી આવે છે. મગફળીના તેલમાં પણ પામ તેલ ભેળવવામાં આવે છે. ખાદ્ય મસાલાઓમાં ઔદ્યોગિક ગ્રેડ પીળો અને લાલ રંગ ભેળવવામાં આવે છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે.

છેલ્લા 5 વર્ષમાં થઈ કડક કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના જણાવ્યાનુસાર, ઝડપી નફો મેળવવા માટે, કેટલાક વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં અમે સમયાંતરે ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની પ્રક્રિયામાં વધારો કર્યો છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પરિણામે હલકી ગુણવત્તાવાળા અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં ઘટાડો થયો છે.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 2020-21 અને 2024-25 વચ્ચે, પરીક્ષણ કરાયેલા ખાદ્ય નમૂનાઓની સંખ્યા 21,596 થી વધીને વાર્ષિક 60,000થી વધારે થઈ ગઈ છે. જેથી ભેળસેળ શોધવામાં અને તેને અટકાવવામાં મદદ મળી છે.

નિયમનું ઉલ્લંઘન કરનારાઓને રૂ. 6.21 કરોડનો ફટકારાયો દંડ

ઉલ્લેખનીય છે કે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 2024-25માં 190 દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10.5 કરોડની કિંમતના 315 ટન શંકાસ્પદ ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSA), 2006 હેઠળ કાર્યવાહી કરીને નિયમનું ઉલ્લંઘન કરનારા 864 એકમોને કુલ 6.21 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગત વર્ષે 60, 448 નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 901 નમૂના બિન-ગુણવત્તાવાળા અને 104 નમૂના અસુરક્ષિત મળી આવ્યા હતા.

આ પણ વાંચો….પનીર અને માવામાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવાની મહારાષ્ટ્ર સરકારની ચેતવણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button