અમદાવાદ

અમદાવાદ રથયાત્રાઃ યાત્રાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જાણો

અમદાવાદઃ ભારતની સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું ખૂબ જ મહત્વનું છે. તેમાં ભગવાન રથયાત્રા પણ તહેવાર ગણાય છે. પુરીની જગવિખ્યાત રથયાત્રા અને અમદાવાદની પરંપરાગત જગન્નાથ રથયાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે. ઓડિશા પુરી બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ઉજવાય છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક રૂપે પણ મહત્વ ધરાવે છે.

રથયાત્રાનું ધાર્મિક મહત્વ

હિંદુ ધર્મમાં ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ છે. જ્યારે ભગવાન પોતે રથમાં આરૂઢ થઈ ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે ભક્તો ભક્તિભાવમાં લીન થઈ જાય છે. આ દિવસે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરચર્યાએ નીકળે છે. આવા અવસરે શહેરીજનો ભક્તિભાવપૂર્વક રથયાત્રાનું સ્વાગત કરે છે. રથયાત્રા હંમેશાં અષાઢી બીજના દિવસે યોજાય છે અને ભક્તો ભગવાનના નજરે નજર મળવાના લ્હાવાથી ગદગદ થઈ જાય છે.

આ પણ વાંચો: શું તમે જાણો છે પુરીની જગન્નાથ રથયાત્રાની દસ રોચક વાતો…

ઇતિહાસની ઝલક : રથયાત્રાની શરૂઆત અને વિકાસ

અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જોકે, મંદિરનો ઈતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે. સાધુ સારંગદાસજીને સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા બાદ તેમણે પુરીથી મૂર્તિઓ લાવી રથયાત્રાની પરંપરાની સ્થાપના કરી હતી. સૌપ્રથમ રથ નાળિયેરના ઝાડના લાકડાંમાંથી બનાવાયો હતો, જેનો આરંભ ભરૂચના ખલાસી ભાઈઓએ કર્યો હતો. આ પરંપરા આજે પણ ચાલુ છે અને ખલાસી ભાઈઓ રથ ખેંચવાનું પવિત્ર કાર્ય કરે છે.

અમદાવાદમાં પ્રથમ રથયાત્રા 2 જુલાઈ 1878માં નીકળી હતી. ગુજરાતની શાન સમાન ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે જ રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નાકળી નગરજનોને દર્શન આપે છે. અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે. રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ,જય રણછોડ… નાદથી ગૂંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બને છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી, 31 જગ્યા ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર

રથયાત્રાનું રૂટ અને સામાજિક મહત્વ

અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી હિંદુ વિધિ સાથે રથ ખેંચી સવારે 7.05 કલાકે જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાનો શુભારંભ કરાવે છે. રથયાત્રાનો પરંપરાગત રૂટ નજીકના 18 કિમી લાંબો હોય છે. રથ નીકળતાં શહેરના માર્ગો ભક્તિમય માહોલથી ગુંજી ઊઠે છે. સરસપુર ખાતે ‘મામેરું’ ભરવાની વિશિષ્ટ પરંપરા છે જ્યાં ભગવાનને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. અગાઉ રથયાત્રા રતનપોળ, દરિયાપુર, શાહપુર જેવા વિસ્તારોમાંથી પસાર થતી હતી. ક્યારેક સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ રથયાત્રા ક્યારેય બંધ કરવામાં આવી નથી. આ વખતે પણ ભવ્યાતિભવ્ય રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં 1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી ત્યાં થોડો સમય વિરામ કર્યા બાદ પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી.

આ પણ વાંચો: અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2025

નવરચના અને રથનું ઐતિહાસિક મહત્વ

1950માં અને પછીના દાયકાઓમાં રથોના પાયામાં અને રચનામાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા. શરૂઆતમાં નાળિયેરના લાકડાંના રથ વધુ નાજુક હોવાથી દર વર્ષે નવા રથ બનાવવાની જરૂર પડતી હતી. ત્યાર બાદ સાગ, સીસમ અને બાવળના લાકડાંમાંથી વધુ ટકાઉ અને હળવા રથ તૈયાર કરવામાં આવ્યા. 1992માં સ્ટિયરિંગ જેવી વ્યવસ્થાઓ પણ ઉમેરવામાં આવી. હાલમાં બનાવાતા રથ પોળોના સાંકડા રસ્તાઓમાંથી સહેલાઈથી પસાર થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથનો રથ સફેદ રંગમાં સુદર્શન થીમ પર હોય છે. બળભદ્રનો રથ લાલ-લીલો રંગ ધરાવે છે અને અશ્વિની થીમ આધારિત છે. સુભદ્રાનો રથ લાલ-કાળો અને નવદુર્ગા થીમ ધરાવે છે. દરેક રથ પર દેવી-દેવતાઓની સુંદર કોતરણી અને વૈભવી શણગાર કરવામાં આવે છે. રથયાત્રા પૂર્વે દોઢેક મહિના પહેલાંથી રથના સમારકામ, રંગરોગાન અને તડામાર તૈયારીઓ શરૂ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી, 31 જગ્યા ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર

રથયાત્રાએ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક

આ રથયાત્રા માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ અને એકતા પ્રતિક પણ છે. અંગ્રેજ શાસન દરમિયાન જુદા જુદા અખાડાના યુવાનો રથયાત્રામાં તિરંગો લહેરાવતાં હતા. 1946માં વસંતરાવ અને રજબઅલીએ માનવતાની રક્ષા માટે આત્મબલિદાન આપ્યું હતું. જે રથયાત્રાની ઊંડાણભરી સામાજિક ભાવનાઓને દર્શાવે છે. રથયાત્રા દરમિયાન કોમી એક્તાના પણ દર્શન થયા હોય છે. મુસ્લિમ ભાઈઓ પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાતા હોય છે.

આજના સમયમાં પણ જગન્નાથજીની રથયાત્રા ભવ્યતા અને શ્રદ્ધાભેર ઉજવાય છે. 2025માં આ રથયાત્રાની 148મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર અમદાવાદ ભક્તિમય બનશે. ભલે સમય બદલાયો હોય, ટેકનોલોજી આવી હોય, પરંતુ રથયાત્રાના ભાવ, ભક્તિ અને સમર્પણ આજ પણ અખંડ છે. આ યાત્રા માત્ર ભગવાનના રથની યાત્રા નથી, પરંતુ આ રથયાત્રા ભક્તોના હ્રદયમાં વસેલી આશા, શ્રદ્ધા અને ભક્તિનો અનોકો સમન્વય છે. રથયાત્રાને હિંદુ ધર્મમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રથયાત્રાઃ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં ગૃહ રાજ્ય પ્રધાન હાજર રહ્યા, રુટનું કર્યું નિરીક્ષણ

આવી રીતે બન્યું સરસપુર ભગવાન શ્રી જગન્નાથનું મોસાળ ?

વર્ષો પહેલા રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવામાં આવી હતી. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું હોવાનું મનાય છે. સરસપુરમાં ભક્તોને પ્રેમભાવથી જમાડવામાં આવે છે. આ સરસપુર ખાતે ભગવાનનું રૂડુ મામેરુ ભરાય છે.

રથયાત્રા પહેલા થતી કેટલીક વિધિઓ

ભગવાનના અભિષેક માટે જળયાત્રા

ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા મામાના ઘરે જવા સારંગપુર રવાના થાય છે, તે દિવસથી મંદિરમાં દર્શન બંધ કરી દેવામાં આવે છે. ત્યારે જળયાત્રા માટે સરઘસ સાથે સાબરમતી નદી પર આવે છે અને ગંગા પૂજન કરવામાં આવે છે અને પછી ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે.

ભગવાનની નેત્રોત્સવ વિધિ

વર્ષોથી અમાવસના દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. પૂનમના દિવસથી અમાવસના દિવસ સુધી ભગવાન સિંહાસન ઉપર અંતર પટ દર્શનમાં, બીમાર અવસ્થામાં રહેતા હોય છે. અમાસના દિવસે ભગવાનના નેત્રોત્સવ વિધિની પૂજા કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિમાં ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે. સાથે જ વિધિ વિધાન દ્વારા ભગવાનને આસન ગ્રહણ કરાવવામાં આવે છે’.

ભગવાન શ્રી જગન્નાના સોનાવેશ દર્શન

ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને એકમના દિવસે સોનાના આભુષણો પહેરાવવામાં આવે છે. સોનાવેષના દર્શન અને ગજરાજપુજન, મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ અને મહાઆરતી કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button