અમદાવાદમાં રૂપિયાની લેતીદેતી બાબતે બિલ્ડર પર ફાયરિંગ, તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદ: કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 જુલાઈના મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. રૂપિયા 8 કરોડની લેતીદેતીના મામલે બિલ્ડર પર તેના પૂર્વ ભાગીદારે જ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ શહેરમાં ગેંગવોર જેવો માહોલ સર્જ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ ઘટના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પટવાશેરી નજીક રાત્રે બની હતી. અહેવાલો અનુસાર બિલ્ડર નાસિરખાન ઉર્ફે ખન્ના પઠાણ પર તેમના પૂર્વ ભાગીદાર ઝહુરુદ્દીન નાગોરીએ પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ હુમલામાં નાસિરખાનને બે ગોળી વાગી, જ્યારે એક ગોળી રાહદારી ઉજેફને વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ નાસિરખાનની હાલત ગંભીર છે.
આપણ વાંચો: વિશ્વાસની સિટ પર આટલો વિશ્વાસ! 11 A સિટના ભાવમાં વધારો તો પણ મુસાફરો કરી રહ્યા છે પડાપડી
સૂત્રોની જાણકારી પ્રમાણે નાસિરખાન અને ઝહુરુદ્દીન 2018થી 2021 સુધી કન્સ્ટ્રક્શનના ધંધામાં ભાગીદાર હતા. રૂ. 8 કરોડની લેતીદેતીને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે તેમની ભાગીદારી તૂટી ગઈ. નાસિરખાન વારંવાર ઝહુરુદ્દીન પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હતા, જેના પરિણામે આ કૃત્ય સર્જાયું.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. કારંજ પોલીસે ઝહુરુદ્દીન નાગોરી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આરોપીની શોધખોળ ચાલુ છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.