અમદાવાદમાં નવરાત્રિમાં અસામાજિક તત્વોનો આતંક: બોપલના પાર્ટી પ્લોટમાં તોડફોડ…

ટિકિટ વિના પ્રવેશ ન મળતાં 20 લોકોના ટોળાએ ગરબામાં મચાવ્યો હંગામો, આયોજક પર જીવલેણ હુમલો
અમદાવાદ: ગુજરાતભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે. આ વચ્ચે શહેરના એક પાર્ટીપ્લોટમાં અસામાજિક તત્વોના આતંક નવરાત્રિનું વાતાવરણ તાણવગ્રસ્ત બનાવ્યું હતું.
આ ઘટના ટિકિટ વિના પ્રવેશ મેળવવાના પ્રયાસમાંથી બની હતી. જોકે વાતાવરણ ગંભીર બનતા આયોજકોને ગરબા બંધ કરાવવાની ફરજ પડી હતી. આ પ્રકારના બનાવને કારણે તહેવારમાં ભંગ પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સૂત્રોએ દાવો કર્યો હતો.
વિરમગામના સચાણા ગામમાં રહેતા હિતેશસિંહ રાજપુતે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતરાઈ ભાઈ કુલદીપસિંહે બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબાનું આયોજન કર્યું હતું. શુક્રવાર રાત્રે હિતેશસિંહ ગરબા રમીને પરત ફરી રહ્યા હતા.
ત્યારે કેટલાક વ્યક્તિઓ પ્લોટની દીવાલ કુદીને અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ટિકિટ વિના પ્રવેશ કરતા લોકોને અન્ય કર્મચારીઓએ રોક્યા હતા, જેનાથી અસામાજિક તત્વો ગુસ્સે ભરાયા હતા, ત્યાર બાદ હેબતપુરથી 20 જેટલા લોકોને બોલાવીને બળજબરીથી પ્લોટમાં પ્રવેશ કર્યો હતો.
આ ટોળકીએ ચાલુ ગરબા અટકાવી દીધા, જેથી ખેલૈયાઓમાં ભાગદોડ મચી ગઈ અને પ્લોટમાં તોડફોડ શરૂ કરી દીધી. હિતેશસિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.
આરોપીઓમાં સુરજ ભરવાડ, ધીરેન ભરવાડ, પ્રથમ ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડ જેવા નામો સામેલ છે, જેમણે દાદાગીરીનું વાતાવરણ ઊભું કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સરખેજ પોલીસે આ ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધ્યા છે. સુરજ ભરવાડ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ બનાવને કારણે નવરાત્રીના તહેવારમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા કરે છે, તેથી પોલીસ પ્રશાસન દ્વારા પણ વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો…આજે ગરબા રમવા જવું કે ઘરે બેસી મેચ જોવીઃ વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડ્યો…