
અમદાવાદ: વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ અવાર નવાર અમદાવાદ આસપાસ વિસ્તારમાં નાની-મોટી દુર્ઘટનાઓને લઈ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ થયા હોવાનો ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય વાત એ છે કે, ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનું આ કાવતરું નિષ્ફળ રહ્યું હતું. અજાણ્યા શખ્સે ટ્રેનના માર્ગમાં અડચણ ઊભી કરીને મોટી દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કર્યો હતો. પાયલટની સતર્કતાને કારણે આ કાવતરૂ સફળ થયું નથી, અને મુસાફરોના જીવ બચી ગયા.
રેલવે ટ્રેક પર લોખંડની એન્ગલ મૂકી
ચાંદલોડિયા અને ખોડિયાર વચ્ચેના રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સે 20 ફૂટ લાંબી લોખંડની એન્ગલ મૂકી હતી, જેનો ઉદ્દેશ વેરાવળથી સાબરમતી જતી વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો હતો. પાયલટે સમયસર આ અડચણ જોઈ લીધી અને ટ્રેનને સુરક્ષિત રોકી લીધી, જેથી મોટો અકસ્માત ટળ્યો. ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ઘાટલોડિયા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.
તપાસનો ધમધમાટ શરૂ
ઘાટલોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ અને RPF ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોખંડની એન્ગલને કબજે કરી. તપાસ એજન્સીઓ હવે આ ષડયંત્ર પાછળના ગુનેગારોની શોધખોળ કરી રહી છે. આ ઘટનાને ગંભીર ગણાવીને સુરક્ષા એજન્સીઓએ રેલવે ટ્રેકની નજીકના વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી છે.
અધિકારીઓનું કહેવું છે કે આવા પ્રયાસો રોકવા માટે ટ્રેક પર સતત નજર રાખવી અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદથી ગુનેગારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.