અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના પરિજનોને સહાય આપવાનું શરૂ, ટાટા ગ્રુપે કરી હતી સહાયની જાહેરાત

અમદાવાદ: ગત 12 જૂનના રોજ બપોરના 1.40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નં.171 ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ-મેમ્બર સહિત 242માંથી 241નાં તેમજ જ્યાં ક્રેશ થયું એ સ્થળ પર 30-35 લોકો મળીને 275 જેટલા લોકોનાં મોત થયા હતા. 23 જૂન, 2025 સુધીમાં 253 મૃતકનાં DNA સેમ્પલ મેચ થયા હતા, જેમાંથી 240 પેસેન્જર અને 13 નોન-પેસેન્જર છે. કુલ 19 નોન-પેસેન્જરના પાર્થિવદેહ સોંપાયા, જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટથી અને 6ની ઓળખ ચહેરાથી કરાઈ છે.
અમદાવાદમાં બનેલ દુખદ ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા તમામ મૃતકોને 1 કરોડ તથા એર ઈન્ડિયા દ્વારા 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાયતા પીડિત પરિવાર સુધી ઝડપી પહોંચે તે માટે ટાટા ગ્રુપ દ્વારા અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 23 જૂન સુધીમાં ત્રણ મૃતકના પરિવારને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે તાજ હોટલના ત્રીજા માળ પર આ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં તમામ મૃતકોના પરિવારજનો રૂબરૂ આવવાનું રહેશે. મૃતકની તમામ જાણકારી આપ્યા બાદ સ્વજનને અધિકારી સાથે મળવા માટે બોલાવવામાં આવે છે. અધિકારી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસે છે, આ પ્રક્રિયા દરમિયાન સ્વજનોએ ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, DNA રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ આપવાના રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ 3થી 4 દિવસમાં વળતર માટેના ચેક આપી દેવામાં આવે છે.
ફેસિલિટેશન સેન્ટર માટે તમામ પરિવારને એર ઈન્ડિયા દ્વારા અગાઉથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી. આ સેન્ટર શરૂ કરવાનો ઉદ્દેશ પ્લેન ક્રેશમાં જે લોકોનાં મોત થયાં તેમના પરિવારને વળતર ચૂકવવાનો છે. અહી ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટે દિલ્હી ઓફિસે મોકલવામાં આવી રહ્યા છે. એ બાદ દિલ્હીની ઓફિસ દ્વારા ડોક્યુમેન્ટ ચકાસી મૃતકના પરિવારના ખાતામાં વળતરની રકમ ચૂકવવામાં આવી રહી છે.
આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઈન્ડિયાએ 275 મૃત્યુની પુષ્ટિ કરી