પ્લેન ક્રેશમાં હોસ્ટેલ બની ગઈ ડિઝાસ્ટર સાઇટ, મેસમાં કામ કરતાં મા દીકરી ગુમ…

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. બપોરે એક વાગ્યાની આસપાસનો સમય હતો એટલે હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થીઓ જમવા માટે ભેગા થયા હતા. તેથી દુર્ઘટના સમયે હોસ્ટેલમાં હાજર અનેક વિદ્યાર્થીઓને જાનહાનિ થઈ છે. હોસ્ટેલ મેસમાં કામ કરતા લોકો પણ મળી રહ્યા નથી. તેમાં મા દીકરીનો પણ સમાવેશ થાય છે.
હોસ્ટેલ મેસના રસોયાના મા દીકરી ગુમ થયા
રવિ ઠાકોર બી જે મેડિકલની અતુલ્યમ યુજી મેસમાં જમવાનું બનાવવાનું કામ કરે છે. રવિની સાથે તેની માતા અને પત્ની પણ કામ કરતા હતા. રવિને બે વર્ષની દીકરી પણ હતી. જેને તેની પત્ની સાથે જ રાખતી હતી. મીડિયા સાથે વાત કરતા રવિ ઠાકોરે જણાવ્યું કે, “વિમાન દુર્ઘટના સમયે મારી મા અને બે વર્ષની દીકરી હોસ્ટેલ મેસમાં રહી ગયા હતા. તેઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.”
બાલ્કનીમાંથી કૂદીને જીવ બચાવ્યો: ડૉ. તરૂણ
હોસ્ટેલ પર વિમાન ક્રેશ થવાના કારણે હોસ્ટેલમાં અફરાતફરી સર્જાઈ હતી. મીડિયા સાથે વાત કરતા હોસ્ટેલના નિવાસી ડૉ. તરૂણે જણાવ્યું કે, “આગ બહુ ભયાનક હતી. મારા ફ્લેટની બહાર નિકળવું શક્ય ન હતું, તેથી હું બાલ્કનીમાંથી કૂદી ગયો અને મારો જીવ બચી ગયો. અમારી પાસે જરૂરી સામાન પણ ન હતો. અમને પોતાનો સામાન કાઢવાનો સમય મળ્યો ન હતો. અમને જ્યાં પણ રહેવાની જગ્યા મળશે, ત્યાં ચાલ્યા જઈશું.”
ઉલ્લેખનીય છે કે, અતુલ્યમ હોસ્ટેલમાં વિમાન ટકરાયું ત્યારે મેસમાં 37 ડોક્ટર જમી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં હોસ્ટેલમાં હાજર 5 લોકોના મોત થયા તથા 2 લોકો ગંભીર છે. જ્યારે 20 લોકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તેઓની શોધખોળ ચાલું છે.