એએમસી દ્વારા રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં જગન્નાથજી મંદીરને અતિ પ્રસિદ્ધ માનવામાં આવે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની છેલ્લા 148 વર્ષથી ઐતિહાસિક રથયાત્રા પણ યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પૈકી હાલમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદીર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસીપલ ઓફિસ કેમ્પસ સુધીના અંદાજે 1,200 મીટર લંબાઈના માર્ગનું નવીનીકરણ કરવાનું આયોજન કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 19.59 કરોડના ખર્ચે જમાલપુર મંદિર પાસે રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે.
1200 મીટરના રોડ પર રથયાત્રા રૂટનું નવીનીકરણ કરાશે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1200 મીટરના રોડ પર રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટ માટે 19.59નો ખર્ચ કરવામાં આવશે. 19.59 કરોડના ખર્ચે જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામ ધણી દરગાહ, ખમાસા ચાર રસ્તા વગેરે જગાએ જંકશન રીડીઝાઈન કરવામા આવી રહી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મંદિર બહાર લોકો ઊભા રહી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જગન્નાથ મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નંબર 2 અને પ્લાઝા સુધીના વિસ્તારને લાઇટિંગથી શણગારવાની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. 19.59 કરોડના આ પ્રોજેક્ટમાં જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્ય સભા, શાહલી ગામધણી દરગાહ અને ખમાસા ક્રોસરોડ્સનું નવીનીકરણ પણ કરવામાં આવશે. આ સાથે સાથે રથયાત્રા વિસ્તારમાં નવા ટેબલટોપ્સ, ટાપુઓ, શિલ્પો અને સૌંદર્યલક્ષી રીતે ડિઝાઇન કરાયેલ લટકતી લાઇટ્સ પણ ગોઠવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારે રથયાત્રાની તાડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
11મી જૂનના રોજ ભગવાનની મિની રથયાત્રા યોજાશે
રથયાત્રાની વાત કરવામાં આવે તો, ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું કલર કામ થઈ ગયું છે. 11મી જૂનના રોજ ભગવાનની મિની રથયાત્રા એટલે કે જળયાત્રા યોજાશે. આ જળયાત્રા હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી અને નાના અખાડા સાથે મંદિરેથી સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે. ભગવાન જગન્નાથની 148મી મુખ્ય રથયાત્રાની વાત કરવામાં આવે તો, 27 જુનના રોજ યોજવામાં આવશે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાવાના છે. આ રથયાત્રાને લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર રથયાત્રા યોજાશે.
આ પણ વાંચો….ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા 11 જૂને અમદાવાદમાં નીકળશે ભવ્ય જળયાત્રા