
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના વ્હાલસોયા સ્વજનો ગુમાવ્યા છે. જેની ખોટ પૂરી શકાય તેમ નથી. જોકે એર ઈન્ડિયાએ દુર્ઘટનાના તમામ પીડિતોને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે પૈકીની વચગાળાની રકમના વિતરણની શરૂઆત કરી દેવામાં આવી છે. 3 પરિવારોને આ વળતર મળી ચૂક્યું છે.
પીડિતોને ચૂકવાયું વચગાળાનું વળતર
એર ઈન્ડિયાએ શનિવારે પોતાનું એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, “20 જૂનથી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોને વચગાળાનું વળતર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જે 25 લાખ રૂપિયા છે. અત્યારસુધી ત્રણ પીડિત પરિવારોને 25-25 લાખ રૂપિયા મળી ચૂક્યા છે. અમે પીડિત પરિવારોનો સંપર્ક કરી રહ્યા છીએ. જેથી વહેલી તકે તેઓને આ વળતર ચૂકવી શકાય.”
14 જૂનના રોજ એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રત્યેક મૃતક અને જીવીત વ્યક્તિના પરિવારને ત્વરીત નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે રૂપિયા 25 લાખ અથવા 21,500 બ્રિટિશ પાઉન્ડ વચગાળાના વળતર તરીકે ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલું વચગાળાનું વળતર જાહેર કરેલ 1 કરોડ રૂપિયાની સહાય સિવાયનું છે. અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનામાં 241 યાત્રીઓ ઉપરાંત મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. દરેક મૃતકનો પરિવાર હજુ પોતાના સ્વજનને ગુમાવવાના આઘાતમાંથી બહાર આવ્યો નથી.