અમદાવાદ

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા 11 જૂને અમદાવાદમાં નીકળશે ભવ્ય જળયાત્રા

અમદાવાદઃ શહેરના જગન્નાથ મંદિરમાં અષાઢી બીજ (રથયાત્રા)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. અષાઢી બીજ પહેલા જળયાત્રાનું પણ ઘણું મહત્ત્વ છે. આગામી 11 જૂનના દિવસે ભગવાન જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ જળયાત્રામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળે છે. રથયાત્રાના એક અઠવાડિયા પહેલા ભગવાનની જળયાત્રા નીકળે છે. આ જળયાત્રામાં પણ શ્રદ્ઘાળુઓ ભક્તિભાવ સાથે જોડાય છે. અમદાવાદની સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. આગામી 11 જૂનના દિવસે સવારે 8 વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રામાં હાથી, બેન્ડવાજા, ભજન મંડળી, અખાડા સાથે શોભાયાત્રા નીકળશે. આ જળયાત્રામાં મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના સંતો મહંતોની હાજરીમાં સાબરમતી નદીમાંથી જળ ભરવામાં આવશે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે.

ભગવાનના જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે મામાના ઘરે જશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે રથને કલર કરવામાં આવ્યા છે. રથને ઓટો ફિનિશ કલર કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથના રથને પીળો, બહેન સુભદ્રાજીના રથને લાલ અને ભગવાન બલરામના રથને લીલો કલર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો….અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાંઃ વિઝા મુદત પૂર્ણ થયા બાદ રોકાયેલા 240 વિદેશી નાગરિકોને શોધ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button