અમદાવાદ પ્લેનક્રેશની જગ્યા ફેરવાઈ જશે સ્મારકમાંઃ જાણો વિદ્યાર્થીઓની હૉસ્ટેલ અંગે સરકારે શું લીધો નિર્ણય

અમદાવાદ: મેઘાણીનગર ખાતે થયેલી વિમાન દુર્ઘટનને આઠ દિવસ વિતી ગયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરી તેને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ દુર્ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અતુલ્યમ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું હતું ત્યાં હવે વિમાન દુર્ઘટના સ્મારક બનાવવામાં આવશે.
વિમાન દુર્ઘટના સ્મારક બનાવવાનો નિર્ણય
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દુર્ઘટનાનો શિકાર બનેલી અતુલ્યમ હોસ્ટેલને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્યારબાદ આ જગ્યા પર એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. જેથી ત્યાં જઈને લોકો વિમાન દુર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યો છે તેઓને શ્રદ્ધાંજલિ આપી શકશે.
જોકે વિમાન ક્રેશ થયા બાદ અતુલ્યમ હોસ્ટેલને ભારે નુકસાન પહોંચ્યું છે. તે આંતરિક રીતે પણ નબળી પડી ગઈ છે. તેથી તેને તોડી પાડીને આ જ કેમ્પસની અન્ય કોઈ જગ્યાએ તેનું નિર્માણ કરવાનું સરકાર વિચારી રહી છે. આ નિર્ણય લઈને સરકારે વિદ્યાર્થીઓની લાગણીઓનો પણ વિચાર કર્યો છે. કારણ કે દુર્ઘટનાના આઘાતમાં વિદ્યાર્થીઓ અહીં રહીં શકશે નહીં.
વિમાન દુર્ઘટના સ્મારક કેવું હશે?
હાલ વિમાન દુર્ઘટના અંગેની તપાસ કરતી ટીમ ઘટનાસ્થળેથી જરૂરી સામગ્રી એકઠી કરી રહી છે. તપાસની તમામ કામગીરી પૂર્ણ કર્યા બાદ હોસ્ટેલને તોડીને સ્મારક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાનું સ્મારક કેવું હશે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. સુત્રોના અનુમાન મુજબ, અહીં એક શાંત બગીચો બનાવવામાં આવશે. જ્યાં મુલાકાતીઓ પ્રાર્થના કરીને મૃતકોને શ્રદ્ઘાંજલિ આપી શકે છે. જોકે આ સ્મારક ભુજના સ્મૃતિવન જેવું પણ હોઈ શકે છે. જ્યાં સ્મારક પર મૃતકોના નામને યાદગીરીરૂપે લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ: શું બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે?