અમદાવાદ પ્લેન દુર્ઘટના: મુક્તાબેનનો પાર્થિવદેહ વતન પહોંચ્યો, પરિવાર શોકમાં

રાજકોટ: 12 જૂનના બપોરના સમયે અમદાવાદના મેઘાણીનગરમાં વિસ્તારમાં એક ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 295 લોકોના મૃત્યુ થયા હતા. તમામ મૃતકોના પરિવાર જનો સાથે DNA ટેસ્ટ મેચ કરી, પાર્થિવદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો રાજકોટના હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે. આજે મુક્તાબેનનો પાર્થિવદેહ આજે રાજકોટ પહોંચ્યો છે. મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરા મયુરને મળવા માટે જતા હતા અને પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થયું હતું.
આજે મૃતક મુક્તાબેનનો પાર્થિવદેહ રાજકોટ ખાતે સરકાર દ્વારા પહોંચાડી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મૃતકના દીકરી સાથે તેમનો DNA મેચ થયા હતા. મૃતક મુક્તાબેનનો પુત્ર અને પુત્રવધુ અને પૌત્ર-પૌત્રી લંડનમાં હતા. જેમને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા. તેમના દિકરાએ લંડનમાં પોતાનું ઘર લીધુ હતું. મૃતક મુક્તાબેન રાજકોટમાં એકલા જ રહેતા હતા.
મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવવા માટે જતા હતા. રાજકોટના ભૂતપૂર્વ કોર્પોરેટર દિવંગત મનુભાઈ રાઠોડના બહેન અને શહેરની ગરૈયા કોલેજના સંચાલક વનરાજભાઈ ગરૈયાના માસી મુક્તાબેનના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો - ‘મુંબઈ લોકલમાં પણ લોકો મરે છે…’: જેટ એરવેઝના ભૂતપૂર્વ CEOએ એર ઇન્ડિયા-બોઇંગનો બચાવ કર્યો…
મુક્તાબેનના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેમનો પુત્ર મયુર, તેમની પુત્રવધૂ આશાબેન, પૌત્ર વરુણ અને પૌત્રી બંસરી લંડન રહે છે. જ્યારે મુક્તાબેનની બંને દીકરીઓ રચનાબેન અને મીનલબેન સાસરે છે. ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવદેહ રાજકોટ આવી પહોંચતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.