પ્લેન ક્રેશ: પતિને મળવા જતી પરિણીતાનું મોત, 5 મહિનામાં જ વિખૂટી પડી જોડી
અમદાવાદના પ્લેન ક્રેશમાં રાજસ્થાનના 12 પ્રવાસીનો ભોગ લેવાયો

બાડમેર: અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અનેક અબાલવૃદ્ધો મોતને ભેટ્યા છે. તમામ મૃતકોના પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનેક લોકોના ઘરના કુલદીપક હોલવાઈ ગયા છે, તો અનેક દંપતીઓની જોડી વિખૂટી પડી ગઈ છે. જેમાં પાંચ મહિના પહેલા પરણેલી રાજસ્થાનની એક યુવતીનો સમાવેશ થાય છે. જેનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
પતિ પાસે લંડન જઈ રહી હતી ખુશ્બુ
રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અરાબા દુદાવતા ગામા મદનસિંહ રાજપુરોહિતની દીકરી ખુશ્બુના 18 જાન્યુઆરી 2025ના રોજ લૂણીના વિપુલ સિંહ રાજપુરોહિત સાથે લગ્ન થયા હતા. વિપુલ સિંહ લંડનમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તેથી લગ્ન બાદ તે લંડન ચાલ્યો ગયો હતો. જ્યારે વીઝા સહિતના દસ્તાવેજો ન હોવાને કારણે ખુશ્બૂ તેની સાથે જઈ શકી ન હતી.
પાંચ મહિના બાદ ખુશ્બૂના વિઝા તૈયાર થઈ ગયા હતા, જેથી તે લંડન જતા વિમાનમાં બેસવા માટે રાજસ્થાનના લૂણીથી અમદાવાદ પહોંચવા માટે બુધવારે નીકળી હતી. જેથી તે ગુરૂવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પોતાની ફ્લાઈટ એઆઈ 171માં સમયસર બેસી શકે. ખુશ્બૂ સમયસર ફ્લાઈટમાં બેસી ગઈ, પરંતુ આ ફ્લાઈટ તેના માટે કાળ સમાન સાબિત થઈ હતી.
ખુશ્બુ માટે કાળ બની એઆઈ 171 ફ્લાઈટ
અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી ટેક ઓફ થયાની થોડીક ક્ષણોમાં વિમાન ક્રેશ થયું હતું. જેથી તેમાં સવાર ખુશ્બુ રાજપુરોહિતનું મૃત્યુ નિપજ્યું હતું. લગ્નના માત્ર 5 મહિનાનો પતિ સાથેનો વિયોગ તેનો જીવનભરનો વિયોગ બની ગયો છે. જોકે હજુ સુધી ખુશ્બુનો મૃતદેહ મળ્યો નથી, પરંતુ રાજસ્થાન સ્થિત તેના પિયર અને સાસરિયામાં શોકનો માહોલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાજસ્થાનથી આવેલા 12 મુસાફરોના મૃત્યું થયા છે, જેમાં ખુશ્બુ રાજપુરોહિત સિવાય 11 લોકો ઉદયપુરના નિવાસી હતા.