
અમદાવાદ: આજે ગુરુવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં અમદાવાદના મેઘાણી નગરમાં એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. ત્યાર બાદ જાણમાં આવ્યું કે 242 પેસેન્જર્સને લઇને લંડન જવા ટેક ઓફ થયેલું એર ઇન્ડિયાનું વિમાન બીજે મેડીકલ કોલેજની ઇન્ટર્ન હોસ્ટેલ પર (Ahmedabad plane crash) ક્રેશ થયું છે.
અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે, મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હોસ્ટેલમાં રહેલા 100થી વધુ ડોક્ટર્સ ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની સારવાર ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ ઘણા ડોક્ટર્સના મોત થયા છે.
એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું એ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળે છે કે ટેક ઓફ થયાની બે મિનીટ બાદ વિમાન ક્રેશ થયું હતું. વિમાન હવામાંથી સીધું નીચે પડતું જોવા મળે છે. થોડીવાર બાદ આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે.
એહવાલ મુજબ ક્રેશ થયેલું આ વિમાન બોઇંગનું કે B-787 ડ્રીમલાઇનર હતું. ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે B-787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હોય. આ વિમાનને સૌથી સુરક્ષિત વિમાનોમાંનું એક માનવામાં આવે છે.
પ્લેન કેવી રીતે ક્રેશ થયું?
વિમાન અચાનક કેવી રીતે ક્રેશ થયું એ અંગે ઘણી અટકળો લાગવવામાં આવી રહી છે. એવામાં માહિતી મળી છે, કે આ વિમાનમાં ગત મહીને પણ ખામી સર્જાઈ હતી. એર ઇન્ડિયાની આ ફ્લાઈટ લંડન માટે રવાના થવાની હતી, પણ વિમાનનું એર કંડીશનર ખરાબ હોવાને કારણે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશઃ તમામ યાત્રીઓના મૃત્યુના દુઃખદ સમાચાર, ડેથટોલ વધી…
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પર દાવો કરવામાં આવી રહ્યો છે કે એવિએશન સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે ડ્યુઅલ એન્જિન ફેઇલ્યોરના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. એવિએશન રીપોર્ટસ અને સ્ટડી મુજબ બંને એન્જિન એકસાથે ફેઈલ થવાની સંભાવના એક અબજ ફ્લાઈંગ કલાકોમાં એકવાર હોય છે. દુર્લભમાં દુર્લભ ઘટનાઓમાંની સૌથી દુર્લભ આ ઘટના છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે વિડીયો શેર કરીને વિમાનમાં ખામી અંગે વાત કરી છે. તેને દાવો કર્યો તે તાજેતરમાં આ જ ફ્લાઈટમાં આવ્યો હતો. આ દરમિયાન ફ્લાઈટમાં એસી ચાલતું ન હતું અને સીટની સામે રાખેલી સ્ક્રિન પણ કામ કરી રહી ન હતી. જો કે આ દાવાની પુષ્ટિ થઇ શકી નથી.
આ વિમાન ક્રેશ થવાના સાચા કારણો પ્લેનના બ્લેક બોક્સના ડેટાના વિશ્લેષણ અને વિવિધ એજન્સીઓની તપાસ બાદ જ જાણવા મળશે.