
અમદાવાદ: અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ 12 જૂનના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ દુર્ઘટના કેમ સર્જાય એ સૌથી મોટો પ્રશ્ન હતો. જેનો જવાબ એક માત્ર બ્લેક બોક્સ હતું. આ બ્લેકબોક્સ ફ્લાઈટના કાટમાળમાંથી મળી આવ્યું હતું. જેની રિકવરી માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવે આ દુર્ઘટનાના કારણો જાણવા માટે બ્લેકબોક્સની મેમરી સફળતાપૂર્વક ઍક્સેસ કરી લેવામાં આવી છે અને તેનું વિશ્લેષણ દિલ્હીની AAIB લેબમાં ચાલી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ જાણકારી આપી, જે આ દુઃખદ ઘટનાની તપાસમાં મહત્વનું પગલું છે.
બ્લેકબોક્સનું વિશ્લેષણ
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના બ્લેકબોક્સ એટલે કે કૉકપિટ વૉઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR), દુર્ઘટના બાદ મળ્યા હતા. આ ડેટાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે AAIBએ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ એક બહુ-વિષયક ટીમ બનાવી છે, જેમાં ઉડ્ડયન ચિકિત્સા નિષ્ણાત, એર ટ્રાફિક કંટ્રોલ અધિકારી અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિ સામેલ છે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ : આ ફ્લાઈટ દુર્ઘટનાને કઈ રીતે ઉકેલશે ‘એર ક્રેશ ડિટેક્ટિવ’ ટીમ?
બે ભાગમાં મળી આવ્યું બ્લેકબોક્સ
બ્લેકબોક્સના બે ભાગમાંથી એક 13 જૂને દુર્ઘટનાસ્થળે ઇમારતની છત પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યો હતો. 24 જૂને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા આ બ્લેક બોક્સ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. AAIB અને NTSBની ટીમે તે જ દિવસે સાંજે ડેટા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ ડેટા દુર્ઘટનાના કારણો જેમ કે ટેકનિકલ ખામી કે અન્ય સમસ્યાઓ શોધવામાં મદદ કરશે.
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મેઘાણી નગર વિસ્તારમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ હાદસામાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ બચ્યો, જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના મોત થયા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો.