અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ સોંપવામાં આવ્યા

અમદાવાદ: ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતા કુલ 270 લોકોના મોત (Ahmedabad Plane Crash) થયા છે. સંપૂર્ણ રીતે બળી ગયેલા મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટીંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 92 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 47 મૃતદેહ પરિવારજનો સોંપવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં જણાવાયું હતું કે આગામી બે કલાકમાં અન્ય 8 નશ્વર દેહને તેમના પરિજનોને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13 મૃતકોના પરિવારજનો હાજર છે, આ પરિવારજનોને પાર્થિવ દેહ સન્માનભેર સોંપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: બનાસકાંઠામાં એસએમસીના પીઆઈ AV પટેલના માતા-પિતાની હત્યા, લાખણીના જસરા ગામે બની ઘટના…
16 જૂનના રોજ સવારે 9.30 કલાક સુધીમાં કુલ 47 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાના પરિવારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવારની મદદ માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.