Ahmedabad -મુંબઈનો રેલ વ્યવહાર 30 કલાકની જહેમત બાદ રાબેતા મુજબ શરૂ

અમદાવાદઃ અમદાવાદના( Ahmedabad)સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ (રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી.
જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી.
આપણ વાંચો: દાયકાઓની પ્રતિક્ષા બાદ હવે અલકાપુરી ગરનાળા પર બનશે રેલવે ઓવરબ્રિજ…
ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડી રાત્રે પૂર્ણ કરી દેવામાં આવી
નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 માણસોની મદદથી 24 કલાકમાં ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી હતી. 750 ટનની એક ક્રેન અને 500 ટનની બે તેમજ 130 ટનની એક ક્રેનની મદદથી આ ક્રેનને ઉતારવામાં આવી હતી. ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડી રાત્રે પૂર્ણ કરી દેવામાં આવી હતી.
આપણ વાંચો: પ્રવાસીઓની ‘સુરક્ષા’ માટે પ્રશાસને લીધા અનેક મહત્વના નિર્ણયો, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?
ટ્રેન વ્યવહાર શરૂ થઈ ગયો
25 માર્ચને મંગળવારની વહેલી સવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓએ રેલવે ટ્રેક અને ઇલેક્ટ્રિક ઓવર હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે છ વાગ્યાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પૂર્વવત્ કરી દીધો હતો એટલે કે 30 કલાક બાદ ભારતના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર ફરી એકવાર વાર ટ્રેન વ્યવહાર શરૂ થઈ ગયો હતો.