અમદાવાદ

T20 વર્લ્ડ કપને લઈ GMRCનો મહત્વનો નિર્ણય: મોડી રાત સુધી દોડશે મેટ્રો, જાણી લો સમય

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ડે-નાઈટ મેચો રમાનાર છે. મેચ નિહાળવા આવતા હજારો ક્રિકેટ પ્રેમીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે દિવસોમાં મેચ રમાશે, તે દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાઓ મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ નિર્ણયથી સ્ટેડિયમમાં મેચ જોઈને નીકળતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.

સામાન્ય રીતે અમદાવાદ મેટ્રોનો સમય સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ મેચના દિવસોમાં (9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને સંભવિત 8 માર્ચ) વિશેષ શિડ્યુલ અમલી રહેશે. મોટેરા સ્ટેડિયમથી APMC તરફ જતી મેટ્રો રાત્રે 10:00 થી 12:30 સુધી દોડશે. તેવી જ રીતે, ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફની ટ્રેનો રાત્રે 12:50 સુધી ઉપલબ્ધ રહેશે. ગાંધીનગર કોરિડોર માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર જવા માટે રાત્રે 11:40 અને 12:10 વાગ્યે સ્પેશિયલ ટ્રેન ઉપલબ્ધ થશે.

મેચ પૂરી થયા પછી સ્ટેડિયમ પર ટિકિટ માટે લાંબી કતારો ન લાગે તે માટે GMRC એ ₹50ની ફ્લેટ રેટ ધરાવતી ‘સ્પેશિયલ પેપર ટિકિટ’ બહાર પાડી છે. આ ટિકિટનો ઉપયોગ કરીને મુસાફરો મોટેરા સ્ટેડિયમ કે સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ અને ગાંધીનગરના કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. મહત્વની વાત એ છે કે રાત્રે 10:00 વાગ્યા પછી માત્ર આ સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે. અન્ય કોઈ પણ એડવાન્સ QR કોડ કે ટોકન રાત્રે 10 વાગ્યા પછી એન્ટ્રી માટે ચાલશે નહીં.

મુસાફરોની સુવિધા માટે આ સ્પેશિયલ પેપર ટિકિટ વહેલી તકે ખરીદી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે તે જ દિવસે નિરંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી અને મહાત્મા મંદિર જેવા મુખ્ય સ્ટેશનો પરથી એડવાન્સમાં ટિકિટ ખરીદી શકો છો. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી મેચ પૂરી થયા પછી મુસાફરો સીધા જ ટ્રેનમાં બેસી શકે અને સમયનો બચાવ થાય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button