ઇસનપુરની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ: ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ: ઉનાળાની શરૂઆત પૂર્વે જ આગની ઘટનાઓએ માથું ઊંચક્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા ઇસનપુર વિસ્તારમાં આજે એકાએક લાગેલી આગને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઔદ્યોગિક એકમો અને રહેણાંક સોસાયટીઓની નજીક આવેલા આ વિસ્તારમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઇસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલની ગલીમાં સ્થિત ‘ગુરુકૃપા એસ્ટેટ’ની એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે થોડીજ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમાચાર લખતી વખતે ફાયરની 8 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની આસપાસ અનેક નાની-મોટી દુકાનો અને રહેણાંક મકાનો આવેલા છે. કેમિકલના કારણે આગ વધુ પ્રસરે તેવી ભીતિને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, ફેક્ટરીમાં રાખેલો લાખોની કિંમતનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ જવાની આશંકા સેવાઈ રહી છે.
ફાયર વિભાગની પ્રાથમિકતા અત્યારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની અને તેને આસપાસની મિલકતોમાં ફેલાતી અટકાવવાની છે. જો કે આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર ફાઇટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અને ‘કૂલિંગ પ્રોસેસ’ પત્યા પછી એફએસએલ (FSL) ની મદદથી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.



