રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીને મળી સજા? હાથીને માર મારતો મહાવતનો વીડિયો વાયરલ…

અમદાવાદ: દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાથીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે યોજાયેલી 148મી રથયાત્રામાં હાથીના કારણે એક દુર્ઘટના થતા રહી ગઈ હતી. રથયાત્રા દરમિયાન બેકાબૂ બની ગયેલા હાથીએ નાસભાગ કરી હતી. તેની સાથે અન્ય બે હાથી પણ હતા. જેથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બેકાબૂ બની ગયેલા ત્રણેય હાથીઓને તાત્કાલિક એક શેરીમાં કોર્ડન કરી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ હાથીને તેના બેકાબૂ બની ગયાની સજા અપાઈ રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને પ્રાણીપ્રેમીઓ રોષે ભરાયા છે.
મહાવતે 43 સેકન્ડમાં હાથીને 19 ફટકા માર્યા
જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત લાકડી વડે માર મારતો હોવાનો 43 મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં મહાવત લાકડીના 19 ફટકા મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોથી પ્રાણીપ્રેમીઓની લાગણી દુભાઈ છે. આ વીડિયો અંગ જગન્નાથ મંદિર તથા મહંત દિલીપદાસજી મહારાજ તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે અમદાવાદ પોલીસે આ ઘટના અંગે પુષ્ટી કરી તેને કાનૂની કાર્યવાહી માટે યોગ્ય ગણાવી છે.
શોભાયાત્રાઓમાં હાથીના ઉપયોગ પર પ્રતિબંધની માંગ
રથયાત્રા દરમિયાન હાથીઓની દોડાદોડીની ઘટના બાદ પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઈન્ડીયાએ(PETA) ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ભવિષ્યમાં યોજાનારી જાહેર શોભાયાત્રામાં હાથીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે નીતિગત નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે. આ સિવાય પેટા દ્વારા જીવંત હાથીની જગ્યાએ યાંત્રિક હાથીનું દાન કરવાની પણ ઓફર કરવામાં આવી છે.
હાથી પર કાબૂ મેળવવામાં વ્હારે આવી વનતારા
ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં હાથીઓના બેકાબૂ થયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વનતારની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી.જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી.