રથયાત્રામાં ગાંડાતૂર બનેલા હાથીએ ત્રણને ઇજા પહોંચાડી, ત્રણેય હાથી રથયાત્રામાંથી બાકાત

અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ દરમિયાન રથયાત્રાને થોડી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. કારણે કે, ખાડિયા વિસ્તારમાં ત્રણ હાથીઓ ગાંડા બન્યાં હતા. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ડીજેના સાઉન્ડના કારણે હાથીઓ બેકાબૂ બન્યાં હતા. જેના કારણે ત્રણ લોકોને ઈજા થઈ હતી. ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. જો કે, ગાંડાતૂર બનેલા હાથીઓને રથયાત્રામાંથી બાકાત કરી દેવામાં આવ્યા હોવાનુ અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં સાધુ અને સંતો પણ રથયાત્રામાં જોડાયા
રથયાત્રાની વાત કરવામાં આવે તો, હજારોની સંખ્યામાં ભક્તો સાથે ભગવાન શ્રી જગન્નાથના રથ ચાલી રહ્યાં છે. ભક્તોને રસ્તામાં પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રામાં 18 હાથી, ભારતીય સંસ્કૃતિ ઝલક આપતા 101 ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે રથયાત્રા નીકળી ગઈ છે. એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સાધુ અને સંતો પણ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રાનું ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોની જનમેદની ઉમટી પડી છે. જેથી કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ પણ તૈનાત છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા રથયાત્રાનું ભવ્ય સ્વાગત
ભગવાન જગન્નાથના રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા ત્યારે અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારે રથયાત્રા નિયત સમય કરતા એક કલાક સુધી મોડી ચાલી રહી છે. જેના કારણે મોસાળ સરસપુર પહોંચા સમય લાગી જવાનો છે. ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર પહોંચે તે પહેલા મેઘરાજા વધામણી કરવા માટે તૈયાર છે. કારણે કે, સરસપુરમાં મેઘ મંડાણ જોવા મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ વહેલી સવારે પણ મેઘરાજાએ અમી છાંટણાથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો…રથયાત્રા 2025: પહિંદ વિધિમાં કેમ થાય છે સોનાની સાવરણીનો ઉપયોગ? જાણો ધાર્મિક કારણ…