અમદાવાદ પ્લેન ક્રેશમાં 105 લોકોના મોતની પુષ્ટિ; ભારત અને બ્રિટેનના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

અમદવાદ: ગુરુવારે બપોરે અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ (Ahmedbad Airplane Crash) થઇ હતી. વિમાન બીજે મેડીકલ કોલેજની અતુલ્ય હોસ્ટેલ પર ક્રેશ થયું, હતું આ હોસ્ટેલમાં ઇન્ટર્ન ડોક્ટર્સ રહેતા હતાં. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 105 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કરતા X પર લખ્યું, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સૌને આઘાત પહોંચાડ્યો છે અને દુઃખમાં ગરકાવ કરી દીધા છે. આ ઘટના શબ્દોમાં ન વર્ણવી શકાય એવી હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના દુર્ઘટના પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા પ્રધાનો અને અધિકારીઓના સંપર્કમાં છું.”
આ ઘટના અંગે બ્રિટેનના વડાપ્રધાન કીર સ્ટારમરે X પર લખ્યું કે ભારતના અમદાવાદ શહેરમાં ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન ક્રેશ થયું તે દ્રશ્યો ખૂબ જ ભયાનક છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મને સતત અપડેટ આપવામાં આવી રહી છે, અને આ દુઃખદ સમયે મારી સંવેદના મુસાફરો અને તેમના પરિવારો સાથે છે.